Skip to main content

વ્યક્તિ વિશેષ : શૂન્ય પાલનપુરી

અમે તો કવિ કાળને નાથનારા
અમારે તો આઠે પહર છે. ખુશાલી
આ બળબળતું હૈયું આ ઝગમગતા નયનો
ગમે ત્યારે હોળી , ગમે ત્યારે દિવાળી.

આજથી લગભગ 97 વર્ષ પહેલાં અમદાવાદ અને સાબરમતી ની વચ્ચે આવેલ લીલાપુર ગામમાં ઉસ્માનખાન બલોચ ના ઘરે તારીખ 19-12-1922ના રોજ અલી ખાન ઉર્ફે ‘રૂમાની પાલનપુરી’ ઉર્ફે ‘શૂન્ય પાલનપુરી’નો જન્મ થયો હતો.પિતા ઉસ્માનખાન ખેતીવાડી ઉપરાંત ઘોડાઓની સોદાગીરી પણ કરતા હતા.તેઓ ભર જુવાનીમાં આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા.તેમના પત્ની નનીબીબી ચાર વર્ષના અલીખાન અને દૂધ પીતા ફતેહખાનને લઇ પિયર પાલનપુરમાં આવીને વસેલા.
બલુચાણીના તમામ લક્ષણો ધરાવતી માતાએ બાળકોને પ્રાણ રેડીને ઉછેર્યા.નનીબીબી કપડા સીવીને અને બીડીયો વાળીને બાળકોનું જતન કરતા.બાળક અલીખાન પાધરીયાવાસમાં પાનનો કરંડિયો લઈને ઘેર ઘેર ફરતા.આ રીતે તેમની માતાને મદદરૂપ થતા.આવી રીતે અલી ખાન ઉર્ફે શૂન્ય પાલનપુરી નાનપણથી જ જવાબદારીની ધૂસરી ખભે ઊંચકીને ઉછરેલ એ બાળક મોટો થઈ કવિ-શાયર બને પછી એ કેવું ગાય !
એક બાળ વૃદ્ધ જેવો દિવાનો ‘શૂન્ય’ નામે,
કરતો હતો પુકારો ઘર ઘર ફરી ફરીને.
અનેક મુશ્કેલીઓમાં પણ માતા નનીબીબીએ ઘરમાં જાતે જ અલીખાનને ઉર્દુ,ફારસી અને અરબીની તાલીમ આપેલી.પ્રાથમિક શિક્ષણ તેમણે પાલનપુરમાં જ લીધું.આ વિરલ વ્યક્તિના જીવન સાફલ્યની ભીતરમાં પ્રેરક બળ એમની માતા નનીબીબીનો ફાળો અગ્રીમ સ્થાને છે.મોસાળ પાલનપુરમાં અલી ખાને ગીત-સંગીતની જાણકાર તેમની ત્રણ માસીઓ અને મામા હુસેનખાનના ભજનોની અને સંગીતની ઉપયોગી તાલીમની માયા તેમને બાળપણથી જ વારસામાં મળી હતી
અલીખાનની ગઝલ,સર્જન-પ્રવૃત્તિનો પ્રારંભ 1938માં ઉર્દૂથી થયેલો.ભારતના નામાંકિત શાયરો-કવિઓનો એ જમાનો હતો.ઉર્દૂ કવિતાના આવા વાતાવરણમાં અલીખાનની કલમની કળા પાંગરતી હતી.તે સમયે તેમણે ‘રૂમાની’ તખલ્લુસ રાખ્યું હતું.જેને પાછળથી ‘અઝલ’ કરેલું.પ્રારંભથી જ અલીખાનની શાયરી દમદાર હતી. ઉમર ખૈય્યામની ફારસી રૂબાઈઓના ગહન અભ્યાસે એમની સર્જન પ્રતિભાને ચોક્કસ દિશાઓના દર્શન કરાવ્યા હતા.
કેહ શકો તો કેહ દો હાકિમે તકદીર સે,
બાંધ તો દેખો જૂનૂને ઈશ્કકો તદબીર સે.
એમણે કોઈની પણ પાસેથી પદ્ધતિસરની તાલીમ મેળવેલ ન હતી.જે કાંઈ શીખ્યું,મેળવ્યું એ જન્મજાત-સ્વયંભૂ અને અભ્યાસ દ્વારા હતું. એટલે જ તેઓ પોતાને ‘તલામિઝૂર્રહમાન’ એટલે કે ‘ખુદાનો શિષ્ય’ કહેતા.મેટ્રિક પાસ થયા પછી અલીખાન સને 1943-44માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દાખલ થયા.દરમિયાન પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન ‘રુસ્વા મઝલૂમી’ના સહવાસમાં આવ્યા.સાહિત્ય અને સંગીતમાં દિવાનગીની હદે રસ ધરાવનાર રાજવી ‘રુસ્વા મઝલૂમી’ એ શાયર અલીખાનને દરબારમાં જ નહીં પણ અંતરના આસને કાયમી સ્થાન આપી દીધું. એ જરૂર કોઈ કુદરતી સંકેત હશે કે ત્યાં જ ગુજરાતના ગઝલ શિરોમણી અમૃત ઘાયલની મુલાકાત થઈ.અને ત્યાર પછી અસ્તિત્વમાં આવી ગુજરાતી ગઝલની એક વિરલ ગાથા.
કલાપ્રિય રાજવી ‘રુસ્વા મઝલૂમી’ અલગારી મસ્તીના માલિક ‘અમૃત ઘાયલ’,અને કલંદરી ખુમારીમાં ડૂબેલા અલીખાન ‘રૂમાની’.એક જ રાશિના ‘બાબી’,’બ્રાહ્મણ’, અને ‘બલોચ’.આ ત્રણેયની પણ એક લાજવાબ દાસ્તાન છે.અમૃત ઘાયલે ‘રૂમાની’ને ગુજરાતી ગઝલ માટે ઇજન આપ્યું.પુનામાં એક દિવસ રુસ્વા મઝલૂમી સાથે ચા પીતા હતા ત્યાં જ અચાનક અલીખાને ઘાયલને અરજ કરી. ‘જનાબ ! હમેં ગુજરાતી તખલ્લુસ દીજીયે.હમ ગુજરાતીમેં ગઝલ કહેંગે.’ આંખો મીંચી બેઠેલા ઘાયલે ‘શૂન્ય’ ને ઉપનામ આપી દીધું.અને કહ્યું બાદ મેં કુછ ઔર સોચેંગે.અલીખાને કહ્યું , “ના હું તો શૂન્ય ને જ હૃદયથી લગાવીશ”. પછી તો ‘શૂન્ય’ ના હૈયેથી ગુજરાતીમાં અમર રહી જાય તેવા ઉર્મિઝરણાં ફૂટવા લાગ્યા. ‘શૂન્ય’ ઉપનામને તેમણે સર્વસ્વમાં ફેરવી નાંખ્યું.
અરબસ્તાન અને ઇરાનથી નીકળીને ગઝલ ગુર્જરભૂમિ સુધી પહોંચી ગઝલૈતિહાસિક ઘટનાને શૂન્ય કોઈ અજીબ તરીકાથી શેરોમાં ખૂબીથી વણી લેતા.પાલનપુર છોડ્યા બાદ શૂન્ય થોડોક સમય પાટણમાં રહી તેમણે અનંતરાય વ્યાસ સાથે ‘ગીત-ગઝલ’ નામનું માસિક શરૂ કર્યું.
એક વાત ખાસ જાણવી જરૂરી છે કે માત્ર ગઝલકાર તરીકે જ પંકાયેલા શૂન્યની ગઝલો જેટલી એમની કવિતાઓ જાહેરમાં ન આવી શકવાને કારણે તેમની ઉત્કૃષ્ટ કવિ તરીકેની પ્રતિભા પડદા પાછળ રહી ગઈ છે. એક સમયે મુશાયરાઓમાં જેની ભારે બોલબાલા હતી એવું એમનું અમર ગીત ‘દૂધને માટે રોતા બાળક ! રો તારા તકદીરને રો !’ જેવી રચનાઓ શૂન્યના એક સશક્ત કવિ હોવાનું ઉત્તમ ઉદાહરણ છે.
આદિ,પૌરાણિક,ધાર્મિક,ઐતિહાસિક અને સાંપ્રત પ્રતિકો,ઉપમાઓ અને અલંકારોનો એક કુશળ કસબીની જેમ એમણે ગઝલોમાં ઉપયોગ કર્યો છે.આજે પોતાને આધ્યાત્મિક ગઝલકાર ગણાવતા ફરતા ગઝલ સર્જકોએ શૂન્યની ‘આલમનું મયખાનું’, ‘લો અમે તો ચાલ્યા’ જેવી મુરસ્સા અને આધ્યાત્મનું સંપૂર્ણ રસદર્શન કરાવતી ગઝલોનો ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ.
ઉમર ખૈયામની રુબાઈના ૧૪ જેટલા અનુવાદ થયા છે. પણ શૂન્ય પાલનપુરીએ કરેલા અનુવાદને સર્વશ્રેષ્ઠ મોહર મારી છે.જીવન-મરણનું ગહન તત્વજ્ઞાન રજૂ કરતી રૂબાઈઓના આ વિરલ ગ્રંથને શાળા-મહાશાળાઓમાં ભણાવવાની વ્યવસ્થા થાય તે જરૂરી છે.આપણા કેટલાક કવિઓને ગુજરાતી સાહિત્યના તમામ પારિતોષિકો પ્રાપ્ત થયા છે.પણ શૂન્ય પાલનપુરી ને એક પણ નહીં.શૂન્ય જેવી વિરાટ કદની પ્રતિભાને એમની સામે અતિ નાના કદના ગજાના સંપાદકોએ શરમજનક અન્યાય કરેલ છે.તેમાં પ્રમાણિકતા અને સંસ્કારિતાની ઊણપ વર્તાય છે.આવા લોકો સામે કવિનો આત્મા ચિત્કારી ઊઠે છે.
વિવેચકોને કહો જાળવે અદબ એની,
કે ‘શૂન્ય’ શબ્દનો સ્વામી છે,કોઈ દાસ નથી.
શૂન્ય પાલનપુરી પ્રથમ કક્ષાના ગઝલ સર્જક હોવા ઉપરાંત ક્રિકેટ,વોલીબોલ અને ચેસના શ્રેષ્ઠ ખેલાડી પણ હતા.પાલનપુરથી લઈને દેશ-વિદેશમાં તેમના વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક (ચંદ્રકાંત બક્ષી એમના વિદ્યાર્થી) તરીકે જીવનના છેલ્લા દાયકામાં ‘મુંબઈ સમાચાર’ માં લખેલા ઉચ્ચકોટિના તંત્રીલેખો દ્વારા ઉચ્ચકોટિના પત્રકાર તરીકેના દર્શન કરાવ્યા છે. ‘ઓજસ પાલનપુરી’ અને ‘અમર પાલનપુરી’ જેવા સદાબહાર પ્રતિભાશાળી ગઝલકારો એમણે ગુજરાતને આપ્યા છે. ગુજરાતી ગઝલ સૃષ્ટિમાં શૂન્ય શહેનશાહી અદાથી જીવી ગયા.
17 માર્ચ 1987ના રોજ તેમના અવસાનથી ગુજરાતી ગઝલ સૃષ્ટિને ન પૂરાય તેવી ખોટ પડી.તેમના અવસાનથી કવિતાની સાથે-સાથે સમગ્ર મુશાયરાને તસ્ખીર કરી લેનારી એમની અનોખી અદાની રજૂઆતકલા પણ સાથે જ લઈ ગયા.આજે પણ એ બુલંદ અવાજના શાયર નું સ્થાન જેમનું તેમ ખાલી જ છે.પાલનપુરના ઇદગાહ કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા.
શૂન્ય પાલનપુરી ના તમામ ગઝલસંગ્રહો ઉપરાંત ખૈય્યામની રૂબાઈઓનો અનુવાદ તેમની બધી જ ઉર્દુ રચનાઓ તેમજ ગુજરાતીમાં એકમાત્ર એમણે જ કરેલ ‘સમય લેખન’ (ફન્ને તારીખગોઈ) ના સંશોધન લેખોનો સમાવેશ કરતો 750 પાનાનો ગ્રંથ ‘શૂન્યનો વૈભવ’ શ્રી શૂન્ય પાલનપુરી ટ્રસ્ટ,પાલનપુર તરફથી (1993) કવિના જન્મદિવસે તારીખ 19 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થયેલ છે.
સાભાર : ગરવી ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...