Skip to main content

સ્વતંત્ર બનાવે, તે સાચું શિક્ષણ - વિનોબા ભાવે

અહીં એક છોકરો સેવાકાર્યમાં લાગેલો છે, તેમાં તેને બહુ રસ પડે છે. પરંતુ તેનાં માબાપ એમ ઇચ્છે છે કે તે પહેલાં પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરુ કરે, અને પછી જે કરવું હોય તે કરે,એટલે છોકરો મારી પાસે સલાહ લેવા આવ્યો હતો કે તેણે શું કરવું જોઈએ.
મેં તેને પૂછ્યું કે અત્યાર સુધીના તારા શિક્ષણથી તેં સ્વાવલંબન સાધી લીધું છે? જો તારુ સ્વાવલંબન સધાઈ ગયું હોય, તો તારે આગળ ભણવાની જરૂર નથી. શિક્ષણથી મૂળમાં તો સ્વાવલંબન સધાવું જોઈએ. જે શિક્ષણ વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવી શકે, તે સાચું શિક્ષણ.મારી દષ્ટિએ શિક્ષણનું આ મુખ્ય ધ્યેય હોવું ઘટે.

આ સ્વાવલંબન એટલે શું? આજકાલ લોકો આર્થિક રીતે પગભર થવું એવો સ્વાવલંબનનો જે અર્થ કરે છે, તેટલો જ સીમિત અર્થ મારા મનમાં નથી. સ્વાવલંબનનો ઘણો ઊંડો ને વ્યાપક અર્થ મારા મનમાં છે. મારી દૃષ્ટિએ શિક્ષણ દ્વારા ત્રિવિધ સ્વાવલંબન સધાવું જોઈએ. શિક્ષણમાં કાંઈ ને કાંઈ ઉદ્યોગ શીખવવો જોઈએ.જેથી વિદ્યાર્થી જીવનમાં પગભર થઈ શકે. આનું મહત્ત્વ છે. દરેકે શરીર-પરિશ્રમ કરતાંયે શીખવું જોઈએ. શરીર પરિશ્રમ તો દરેકે કરવો જ જોઈએ.જો બધા કાંઈ ને કાંઈ શરીર-પરિશ્રમ કરતા થઈ જશે, તો સમાજમાં નાહક વર્ગભેદ નહીં ઊભા થાય. અમુક લોકો માથાનું જ કામ કરનાસ અને અમુક હાથનું જ કામ કરનારા, એવો રાહુકેતુનો સમાજ નહીં ઊભો થાય. દરેકે માથાનું પણ કામ કરવું જોઈએ અને હાથનું પણ કામ કરવું જોઈએ. એટલે શિક્ષણમાં કાંઈ ને કાંઈ હાથનું કામ કરતાં, કાંઈક ઉદ્યોગ કરતાં શીખવવું જ જોઈએ. તેનાથી ઉત્પાદન પણ વધશે,આરોગ્ય પણ વધશે અને એક નિરામય સમાજ નિર્માણ કરવામાં મદદ મળશે. એ પોતે પણ સ્વતંત્ર થશે. તો આવું એક સ્વાવલંબન શિક્ષણ દ્વારા સધાવું જોઈએ.

પરંતુ આટલું જ પૂરતું નથી. શિક્ષણનું બીજું ધ્યેય એ હોવું જોઈએ કે વિધાર્થીની પ્રજ્ઞા સ્વયંભૂ બને અને તે સ્વતંત્ર રીતે વિચારતો થાય, આ દષ્ટિ જો રહી. તો શિક્ષણનું સ્વરૂપ જ બદલાઈ જશે. આજે શાળા - કોલેજોમાં માહિતી ને જાણકારી તો પુષ્કળ અપાય છે, પણ વિદ્યાર્થીમાં સ્વતંત્રપણે જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ આવે, તે તરફ બહુ ઓછું ધ્યાન આપવામાં આવે છે.જોવું તો એ જોઈએ કે એનામાં સ્વતંત્ર રીતે અધ્યયન કરવાની શક્તિ આવી છે કે નહીં.

આજકાલ વિદ્યાલયોમાં અનેક ભાષાઓ અને અનેક વિષય શીખવવામાં આવે છે. દરેક વાતમાં વિદ્યાર્થીને વરસો સુધી શિક્ષકની મદદની જરૂર પડે છે. ખરું જોતાં, વિદ્યાર્થને એ રીતની તાલીમ મળવી જોઈએ કે જેથી વિદ્યાર્થી આગળ જતાં જાતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. દુનિયામાં અનંત જ્ઞાન છે. જો કે જીવન માટે તે અનંત જ્ઞાનની આપણને જરૂર નથી પડતી.તેમ છતાં સારું એવું જ્ઞાન આપણને જોઈતું હોય છે. હવે, એવું જીવનોપયોગી જ્ઞાન શાળા - કોલેજોમાં મળી શકે છે,એમ માનવું સાવ ખોટું છે. જીવનોપયોગી જ્ઞાન તો જીવનમાંથી જ પ્રાપ્ત થઈ શકે. શિક્ષણે તો વિદ્યાર્થીમાં એવું જ્ઞાન મેળવી શકવાની શક્તિ નિર્માણ કરી આપવાની છે. વિદ્યાલયોનું બસ આટલું જ કામ છે. જ્ઞાન મેળવવાની બાબતમાં વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવી દેવો.

હજી એક ત્રીજું સ્વાવલંબન પણ જરૂરી છે, જે શિક્ષણ દ્વારા સધાવું જોઈએ. શિક્ષણનું તે પણ એક અંગ બની જવું જોઈએ. વિદ્યાર્થીને પોતાની ઇન્દ્રિયો ઉપર અને પોતાના મન ઉપર કાબૂ રાખતાં શીખવવું જોઈએ. જેમ સ્વતંત્ર રહેવું હોય તો આર્થિક ઉપાર્જનની પરાધીનતા ન જોઈએ,તેમ સ્વતંત્ર રહેવું હોય તો વિકારવશતા પણ ન જોઈએ. જે માણસ પોતાની ઇન્દ્રિયોનો ગુલામ છે અને પોતાના વિકારોને કાબૂમાં રાખી શકતો નથી, તે સ્વતંત્ર નથી, સ્વાવલંબી નથી.તેથી શિક્ષણનું આ પણ એક અનિવાર્ય અંગ મનાવું જોઈએ, અને તે માટે જીવનમાં સંયમ, વ્રત,સેવા આદિનું પણ શું સ્થાન છે તે વિદ્યાર્થીને શીખવવું જોઈએ. શિક્ષણમાં યોગનું શિક્ષણ પણ
આવી જવું જોઈએ.

તો, મારું કહેવું એમ છે કે આવું ત્રિવિધ સ્વાવલંબન સાધી આપે તે સાચું શિક્ષણ. કહે છે ને કે “સા વિદ્યા યા વિમુક્તયે” ! વિદ્યા એ કે જે માણસને મુક્ત કરે. આ ત્રિવિધ સ્વાવલંબન દ્વારા જ આવી મુક્તિ સંભવે.

આ છોકરાનાં માબાપ તેને હાઈસ્કૂલનું શિક્ષણ પૂરુ કરી લેવાનો આગ્રહ શું કામ કરે છે?એટલા વાસ્તે કે તેમ કરવાથી પછી નોકરી મળી શકે અને તે સ્વતંત્ર રીતે જીવી શકે. પરંતુ વિદ્યા તરફ આટલી સીમિત દષ્ટિથી જ જોવું ઠીક નથી.

સ્વતંત્રતાનો આટલો મર્યાદિત અર્થ કરવો બરાબર નથી. વિદ્યા જીવનની એક મૌલિક વસ્તુ છે. તે માણસની મુક્તિ માટે છે. અને મુક્તિનો ઘણો ઊંડો ને વ્યાપક અર્થ છે. જેને સાચી વિદ્યા પ્રાપ્ત થાય છે, તે માણસ સાચા અર્થમાં મુક્ત અને સ્વતંત્ર બને છે.

[શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન'માંથી]

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...