Skip to main content

ઇઝરાયેલ –પેલેસ્ટાઇન વિવાદ..

ઇઝરાઇલનો જન્મ કેવી રીતે થયો?
--------------------------------

Courtesy : Israel News Agency

ઈતિહાસ પર નજર નાંખીએ તો તુર્કીશ ઓટોમન એમ્પાયર, પ્રથમ વિશ્વયુદ્ધ 1915 સુધી 400 વર્ષ પેલેસ્ટાઇન તેમના તાબા હેઠળ રહ્યું. આ 400 વર્ષના સમયગાળા દરમિયાન ખ્રિસ્તીઓ,મુસ્લિમો અને યહુદીઓ કોઈ જ પ્રકારના વાદ-વિવાદ વગર સાથે રહેતા હતા. 1915 માં પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટીશરોએ ચાલાકી પૂર્વક ઓટોમન સુલ્તાનને હરાવી ફ્રાંસ સાથે સિક્રેટ ડીલ કરી પેલેસ્ટાઇનને બ્રિટન – ફ્રાન્સે અડધા અડધા ભાગમાં વહેચી લીધું અને જે અરબ દેશોનો સાથ લીધો હતો આ લડતમાં,એમને અંધારામાં રાખી અરબોનું એકીકૃત અરબ બનાવવાનું સપનું રોળી દીધું હતું.1918 થી 1948 સુધી પેલેસ્ટાઇન બ્રિટિશરોના તાબા હેઠળ મેન્ડેટરી ટેરેટરી તરીકે રહે છે.1948 માં હિટલર યહુદીઓ પર જુલમ કરે છે અને કત્લેઆમ થાય છે ત્યારે હિટલરના નિયંત્રણવાળા યુરોપમાંથી યહુદીઓ ભાગી નીકળે છે,થોડાક અમેરિકામાં આશ્રય લે છે અને મોટા ભાગના પેલેસ્ટાઇન આશ્રય લેવા આવી પહોચે છે,કેમકે આ જગ્યા તેમની ધાર્મિક દ્રષ્ટીએ મહત્વની છે.આ બાજુ ઇઝરાયેલ રાષ્ટ્રની ચળવળ ઉભી થાય છે,ત્યાં બીજી બાજુ 1940 પેલેસ્ટાઇન રાષ્ટ્રની પણ ચળવળ ઊભી થઇ ગઈ હોય છે.1948 માં બ્રિટીશ રાજ પોતાની સત્તા પાછી ખેચી લે છે.જવાબદારી આવી પડે છે યુનાઇટેડ નેશન્સ પર.

UN એક વિભાજન પ્લાન બનાવે છે.રીઝોલ્યુશન 181 વિભાજન પ્લાન મુજબ 55% યહુદીઓને અને 45% જમીન પર પેલેસ્ટાઇનને રાજ્ય બનાવવાનું રજુ થાય છે.જેરુસલેમ ખ્રિસ્તી,મુસ્લિમ અને યહૂદી ત્રણેનું પવિત્ર સ્થાન હોવાના કારણે આંતરરાષ્ટ્રીય નિયંત્રણમાં રાખવાની દરખાસ્ત રજુ થાય છે.પાડોશી અરબ દેશો આ યોજનાને બ્રીટીશરોનું કાવતરું ગણાવી નકારી દે છે,તેમના મુજબ યહુદીઓ વસાહતીકરણ ચાલુ રાખવા માંગે છે.અને બીજી બાજુ યહુદીઓ આ પ્લાન સ્વીકારી લે છે,ત્યાંથી જન્મ થાય છે ઇઝરાયેલનો.

અરબો જરા પણ જમીન આપવા તૈયાર થતા નથી અને ‘પ્રથમ અરબ-ઇઝરાયેલ યુદ્ધ 1948’ થાય છે.1949 માં જેવું યુદ્ધ ખતમ થાય છે,UN વિભાજન પ્લાન પ્રમાણે ઇઝ્રરાયેલીઓ જે વિસ્તાર પેલેસ્ટાઇનનો થવાનો હતો ત્યાં ગેરકાયદેસર કબજો કરી લે છે.

પેલેસ્ટાઈન લીબરેશન ઓર્ગેનાઇઝેશન
------------------------------------

ગાઝા પટ્ટીનો વિસ્તાર ઈજીપ્ત પાસે અને વેસ્ટ બેંકનો વિસ્તાર જોર્ડન પાસે જતો રહે છે.એટલે કે સાત લાખ કરતાં વધુ પેલેસ્ટાઇનીયો પોતાના જ વિસ્તારમાં નિરાશ્રીતો બનીને રહી જાય છે.આ ઘટના ‘Palestine Exodus’ તરીકે ઓળખાય છે.1964 માં PLO(પેલેસ્ટાઇન લીબરેશન ઓર્ગેનાઈઝેશન) સ્થપાય છે જેને 1974 માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ઓળખ અપાય છે કે આ ઓર્ગેનાઈઝેશન પેલેસ્ટાઇનીયનોના રિપ્રેઝન્ટેટિવ છે.1967 થી 1980 સુધીના ગાળામાં ઇઝરાયેલીઓ વેસ્ટ બેંક અને અન્ય વિસ્તારોમાં વસાહતો બનાવવા અને સેટલમેન્ટમાં લાગી જાય છે.ત્યાં પરમેનેન્ટ રહેઠાણ અને કોલોનીઓ બનાવી દે છે અને ઈઝરાયેલી સરકાર સીધી યા આડકતરી રીતે મદદરૂપ થાય છે, જે યુનાઇટેડ નેશન્સના વિભાજન પ્લાનથી તદ્દન વિરુધ્ધ છે.1992 માં ઈઝરાયેલને યીત્ઝાક રબીન પ્રધાનમંત્રી મળે છે, જે PLO માટે ભાવનાત્મક રીતે માન્યતાની સાથે પેલેસ્ટાઇનને એમનો વિસ્તાર પાછો આપવામાં માનતા હોય છે.અને 1993માં ઓસ્લો એકોર્ડ થાય છે.બંને દેશો સાથે મળીને શાંતિપૂર્વક વિભાજન માટે સહમત થાય છે.1994 માં પ્રથમ વાર ‘પેલેસ્ટીનીયન નેશનલ ઓથોરીટી’ નામે સરકાર બને છે. 1994 માં પેલેસ્ટીનીયન ઓથોરીટીના પ્રમુખ યાશર અરાફાત અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી યીત્ઝાક રબીન વચ્ચે શાંતિ મંત્રણા સફળ થાય છે અને જેને લઈને યાશર અરાફાત , યીત્ઝાક રબીન અને સિમોન પેરેસને સંયુક્ત શાંતિ નોબેલ પુરષ્કારથી નવાજવામાં આવે છે.પરંતુ દુર્ભાગ્યે આ શાંતિ અને સુલેહની પરિસ્થિતિનું સત્યાનાશ વળી જાય છે પાછળથી. ઈઝરાયેલના કટ્ટરવાદીઓ દ્વારા યીત્ઝાક રબીનની હત્યા કરવામાં આવે છે કે શાંતિ વાર્તા કે સમાધાન કેવી રીતે કરી જ શકે આ લોકો !? અને 2004 માં યાસર અરફાત મૃત્યુ પામે છે. છેવટે, અબ્બાસે 1990 ના દાયકાની શરૂઆતમાં દ્વિ-રાજ્ય સમાધાન દ્વારા આ સંઘર્ષને ઉકેલવા માટે શરૂ કરેલી શાંતિ પ્રક્રિયાનો સારાંશ આપ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું, "અમે ઇઝરાયલ રાજ્ય સાથે 20 વર્ષથી વાત કરી રહ્યા છીએ,અમારા પોતાના રાજ્યની અનુભૂતિ કરવા માટે નજીક આવ્યા વિના શક્ય નથી." 2011 ના મે મહિનામાં, અબ્બાસે ન્યુ યોર્ક ટાઇમ્સમાં “ધ લોંગ ઓવરડ્યુ પેલેસ્ટિનિયન રાજ્ય” શીર્ષક હેઠળ અભિપ્રાય આપેલ. એ ભાગને, યુનાઇટેડ નેશન્સે પશ્ચિમ કાંઠો અને ગાઝા પટ્ટીને "સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન" ને માન્યતા આપવાની પ્રખર અરજ કરી હતી.

શેખ જર્રાહ
-----------

એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વાત ‘શેખ જર્રાહ’ની કરીએ તો ... છેલ્લા કેટલાક અઠવાડિયામાં શેખ જર્રા, પૂર્વ જેરુસલેમથી બળજબરીપૂર્વક દબાણ લાવવાની ઇઝરાઇલી ઝુંબેશ તરીકે પેલેસ્ટાઈન લોકો જુએ છે તેનું પ્રતીક બની ગયું છે. શેખ જર્રાહ પૂર્વ જેરુસલેમનો એક વિસ્તાર છે. અરબી ભાષામાં જર્રાહ ઉપનામનો અર્થ સર્જન(દાકતર) છે.થોડાક પોઈન્ટ સમજીએ....

(૧. ) શેખ હુસમ અલ-દિન અલ-જર્રાહી (حسام الدین الجراحي) (સંપૂર્ણ નામ હુસમુદ્દીન હુસેન બિન શરફુદ્દીન ઇસા) સુલતાન સલાઉદ્દીન અય્યુબી (1137-1193 AD) ના વ્યક્તિગત ચિકિત્સક અને સર્જન હતા, તેઓ ઉમદા વ્યક્તિ હતા અને જમીનોને વસાહત કરવામાં તેમને પૂર્વી જેર્સુલેમમાં સુલતાન દ્વારા જવાબદારી સોંપેલ, જ્યાં તેમણે ઝવીયા (ભારતીય સંદર્ભમાં ખાનખાહ, દૈરાહ) ની સ્થાપના કરી, જેને ઝવીયા જર્રહિયા તરીકે ઓળખવામાં આવે છે. શેખ જર્રાહ સફર 598 હિજરી 1202 એડી) માં અવસાન પામ્યા હતા અને ઝવીયાના મેદાન પર દફનાવવામાં આવ્યા હતા જ્યાં એક કબર પણ બનાવવામાં આવી હતી. આખો વિસ્તાર અને પાડોશ હવે શેખ જર્રાહ તરીકે ઓળખાય છે.

(૨.) આજે શેખ જર્રાહ પૂર્વ જેરુસલેમનો મુખ્યત્વે પેલેસ્ટિનિયન વિસ્તાર છે, જે જુના શહેરથી 2 કિલોમીટર દૂર ઉત્તરમાં છે, જેરૂસલેમનો પહેલો અરબ મુસ્લિમ બહુમતી પડોશી છે જે ઓલ્ડ સિટીની દિવાલોની બહાર બનાવવામાં આવ્યો છે. આધુનિક પડોશીની સ્થાપના 1865 માં થઈ હતી અને ધીરે ધીરે જેરૂસલેમના મુસ્લિમ ચુનંદા વર્ગનું રહેણાંક કેન્દ્ર બન્યું.

(૩.) શેખ જર્રાહ સંપત્તિ વિવાદ એ શેખ જર્રાહમાં કેટલીક સંપત્તિઓ અને આવાસ એકમોની માલિકી સાથે સંકળાયેલ લાંબા સમયથી ચાલતો વિવાદ છે.

(૪.)1948 માં - નકબા અને 1948 માં ઇઝરાઇલની જબરદસ્તી સ્થાપના પછી, સેંકડો હજારો પેલેસ્ટાનીઓ વિસ્થાપિત થયા, જેમાંથી ઘણાને પછીથી જોર્ડન દ્વારા અંકુશિત એવા પ્રદેશમાં ભાગી આશ્રય લેવો પડ્યો.(૫. )1956 માં, જોર્ડનીયન સરકારે 28 પેલેસ્ટિનિયન પરિવારોને શેખ જર્રાહમાં પાછા લાવ્યા, જે 1948 ના યુદ્ધ દરમિયાન ઇઝરાઇલી-સંચાલિત જેરુસલેમમાં તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા હતા. આ જોર્ડન અને UNRWA (યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી) વચ્ચે થયેલા સોદાને અનુરૂપ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ વર્ષના રહેઠાણ પછી નવા મકાનોની માલિકીના ટાઇટલના બદલામાં કુટુંબોની શરણાર્થીની સ્થિતિનો ત્યાગ કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું, પરંતુ એ વિનિમય અમલીકરણ થયો ન હતો.

(૬.) જોર્ડનના શાસનનો અંત 1967 ના યુદ્ધમાં થવો જોયતો હતો જ્યારે ઇઝરાયેલે શેખ જર્રાહ સાથે, પૂર્વ યરૂશાલેમના બાકીના ભાગો પર કબજો કર્યો હતો, અને હજુ પણ આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા મોટાભાગના જોડાણને કબજો કરેલ વિસ્તાર માનવામાં આવે છે.

(૭.) ત્યારથી (1967) ઇઝરાઇલી ઝિયોનિસ્ટ્સ આ વિસ્તારમાં પેલેસ્ટિનિયન વસ્તીને બદલવાનું – કાઢી મુકવાનું કામ કરી રહ્યા છે. પાંચ દાયકાના સમયગાળામાં, શેખ જર્રાહમાં અને નજીકમાં સંખ્યાબંધ ઇઝરાઇલી વસાહતો બનાવવામાં આવી છે.

(૮.) હવે 2021 માં ઇઝરાઇલની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે 30 પુખ્ત વયના લોકો અને 10 બાળકો ધરાવતા ઇસ્કાફી, કુર્દ, જાનોઇ અને કાસેમ પરિવારો 6 મે 2021 સુધીમાં તેમના ઘર ખાલી કરી દેશે. આ પરિવારો લગભગ ચાર વર્ષથી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ કાયદેસર અને માન્ય માલિકો છે. કોર્ટે આ જ વિસ્તારમાં રહેતા હમ્માદ, ડગાની અને દૌદી પરિવારોને 1 ઓગસ્ટ 2021 સુધી સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું છે.

(૯.) આ અગાઉ 2002 માં, 43 પેલેસ્ટાઇનોને આ વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને ઇઝરાઇલી વસાહતીઓએ તેમની મિલકતો કબજે કરી હતી. 2008 માં, અલ-કુર્દ પરિવારને દૂર કરવામાં આવ્યો, અને 2009 માં, હનોઉન અને ઘાવી પરિવારોને ઘરમાંથી કાઢી મુકાયા અને 2017 માં ઇઝરાઇલી વસાહતીઓ દ્વારા શમાસ્નેહ પરિવારને પણ તેમના ઘરથી દૂર કરવામાં આવ્યો.

(૧૦.) ઇઝરાઇલ ઘરો તોડી અને સેંકડો પેલેસ્ટિનિયન પરિવારોને આ બહાના હેઠળ જારી કરાયેલા અદાલતના આદેશના આધારે વિસ્થાપિત કરવા માંગે છે કે શેખ જર્રાહ પેલેસ્ટાઈનોની જમીન અથવા મકાનો નથી. વિચિત્રતા એ છે કે પડોશમાં કોઈ પણ જમીનના પ્લોટ પર ઇઝરાઇલની માલિકી હોવાના કોઈ પુરાવા જ નથી, જે ભૂતકાળમાં એક ગામ હતું, પરંતુ તે જેરૂસલેમનું એક પડોશી બની ગયું.

(૧૧.) પેલેસ્ટાઈન લોકો ઇઝરાઇલને પૂર્વ જેરુસલેમ અને તેના કિંમતી ઓલ્ડ સિટીનો કબજો મેળવવા માટેના મોટા ષડ્યંત્ર તરીકે ઇઝરાઇલના પ્રયત્નોને જુએ છે, શેખ જર્રાહ જેવા પડોશીનું મહત્વ એ અલ-અક્સા મસ્જિદની નિકટતા છે. ઇઝરાઇલ અલ-અક્સાની આજુબાજુના મકાનો ખાલી કરાવવા માંગે છે અને ઇઝરાઇલની યહૂદી હાજરીથી ચારે બાજુથી નોબલ પવિત્ર જગ્યાને ઘેરી લેવા માટે તેમની વસાહતો મૂકવા માંગે છે.

(૧૨.) ઇઝરાઇલનો કાયદો ફક્ત યહુદીઓએ તેમના બનાવટી દસ્તાવેજો સ્વીકારતી સંપત્તિનો દાવો કરવાની મંજૂરી આપે છે, જ્યારે પેલેસ્ટાઈનોના માલિકી સંબંધિત મૂળ ઓટ્ટોમન દસ્તાવેજોને નકારી કાઢતા તે જ દાવો પેલેસ્ટાઈનો કરી શકતા નથી અથવા સાબિત કરી શકતા નથી. આ વિશિષ્ટ કેસમાં અસરગ્રસ્ત પેલેસ્ટિનિયન શરણાર્થીઓને ઇઝરાઇલી કાયદા હેઠળ હાઈફા, સરાફંદ અને જાફામાં તેમના પૂર્વ મકાનો માટે અધિકાર નથી. !!!

(૧૩.) ઇઝરાયલ પોતાના દાવાને “સાબિત” કરવા માટે છેતરપિંડી અને બનાવટનો ઉપયોગ કરે છે .. તે એક ઐતિહાસિક તથ્ય છે કે ઓટોમન સુલતાન દરમિયાન ત્યાંના વતનીઓએ યહુદીઓને જમીન વેચવાની મનાઈ હતી, જેનાથી તેઓ સામાન્ય રીતે પેલેસ્ટાઇનમાં અને ખાસ કરીને જેરૂસલેમમાં સંપત્તિ ધરાવતા અટકાવતા હતા. ઓટોમન સુલતાને યહૂદી મુલાકાતીઓને એક મહિના કરતાં વધારે સમય સુધી યેરૂશલેમમાં રોકવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેથી, ઇઝરાઇલ દ્વારા શેખ જર્રાહની જમીનની માલિકીનો દાવો કરવો તે સંપૂર્ણપણે ખોટું છે.

(૧૪.) શેખ જર્રાહ અલ-અક્સા મસ્જિદથી લગભગ એક માઇલ દૂર છે, જ્યાં ઇઝરાયેલે આ વર્ષે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન તેમના મેળાવડા પર બિનજરૂરી પ્રતિબંધો લાદ્યા હતા. ઇઝરાઇલ પોલીસે અલ-અક્સા મસ્જિદ પર હુમલો કર્યો ત્યારે તનાવ પેદા થઇ ગયો હતો, પેલેસ્ટાઈનો સામે સ્ટન ગ્રેનેડ અને રબરની ગોળીઓનો ઉપયોગ કરીને તેઓએ કહ્યું કે પથ્થરો ફેંકી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તે પછી પેલેસ્ટાઇનો અને ઇઝરાઇલી પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં હવે યુદ્ધમાં ફેરવાયું છે.

1996 ની પેલેસ્ટાઇનમાં ચુંટણીઓનું હમાસ ગ્રુપ બહિષ્કાર કરે છે.આત્મઘાતી બોમ્બિંગ થાય છે અને બંને બાજુ કટ્ટરવાદીઓનું વર્ચસ્વ વધવા લાગે છે.પછી 2002 માં બંને બાજુએથી હિંસા અને દેખાવો વધી જાય છે અને બંને દેશોના 100 થી વધુ નાગરિકોના મૃત્યુ થાય છે.પેલેસ્ટાઇનમાં 2006 માં ફરી ચુંટણીઓ થાય છે ,જેમાં હમાસ ગ્રુપ અને ‘ફતહ’ પાર્ટી જેનું સમર્થક PLO છે લડે છે અને હમાસ નજીવા માર્જીનથી જીતી જાય છે. બંને પક્ષો રાજનીતિમાં જેમ બનતું હોય છે એમ અંદરોઅંદર લડવા લાગે છે.જેમાં ગાઝા પટ્ટી પર સંપૂર્ણ રીતે હમાસનું નિયંત્રણ થઇ જાય છે.વેસ્ટ બેંકવાળા વિસ્તારમાં ફતહનું.હવેની તાજેતરની પાર્લામેન્ટ્રી ચુંટણીઓ મે મહિનાના અંતમાં અને પ્રમુખની 31 જુલાઈએ જાહેર થઇ હતી તે પ્રમુખ અબ્બાસ દ્વારા રદ કરવામાં આવી છે, તો રાજકીય દ્રષ્ટિકોણ પણ સાથે જોવું રહ્યું.અત્યારે જ્યાંથી રોકેટ લોન્ચ થાય છે એ વિસ્તાર ગાઝા પટ્ટી છે,જયારે વેસ્ટ બેંકમાં આ પ્રકારની હિલચાલ જોવા મળતી નથી.આના માટે નકશો જોવો ખુબ જરૂરી છે.પ્રથમ તો અટપટું લાગશે કે એક જ વિસ્તારમાં હજારો ટુકડાઓમાં નાના વિસ્તારો ક્યાંક ઈઝરાયેલના કબજામાં છે તો ક્યાંક પેલેસ્ટાઇનના કબજામાં.નક્શાનું અભ્યાસ કરતાં વધુ ખ્યાલ આવશે.

જેરુસલેમનું ધાર્મિક મહત્વ
------------------------

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન ઝગડો ઘણો જુનો છે.જેરુસલેમ એક એવું શહેર છે જે ખ્રિસ્તીઓ,મુસ્લિમો અને યહૂદીઓ ત્રણેય અબ્રાહમિક ધાર્મિક લોકોનું કેન્દ્ર છે.ખરેખર તો અહી ત્રણેય ધાર્મિક માન્યતાઓને એક કરવાનું કામ થવું જોયતું હતું ,ધાર્મિક દ્રષ્ટીએ આ શહેર એકતાનું પ્રતિક હોવું જોઈતું હતું ,પરંતુ અફસોસ કે ઝગડાનું કેન્દ્ર બની ગયું છે.યુનેસ્કોએ આ જગ્યાને વર્લ્ડ હેરીટેજ સાઈટ પણ ડીકલેર કરેલી છે.શાંતિ સ્થાપવા માટે પહેલા તો હિંસા બંધ થવી જોઈએ અને બંને રાજ્યોએ આગળ આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી,નહિ તો આ સંઘર્ષ યુદ્ધમાં ક્યારે પરિણમી શકે એનું કોઈ નક્કી નથી. મધ્ય પૂર્વ શાંતિ પ્રક્રિયા માટે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કન્વીનર ટોર વેનેસલેન્ડે ટ્વિટ કર્યું છે કે, "ફાયરિંગ તાત્કાલિક બંધ કરો, નહીં તો આપણે પૂર્ણ વિકસિત યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ." વેનેસ્લેન્ડે એમ પણ કહ્યું હતું કે, "તમામ પક્ષોના નેતાઓએ સંઘર્ષ ઘટાડવા માટે જવાબદારી લેવી પડશે. ગાઝા પટ્ટી યુદ્ધની ભારે કિંમત ચૂકવી રહી છે અને સામાન્ય લોકો આ કિંમત ચૂકવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપવા માટે તમામ પક્ષો સાથે મળીને કામ કરી રહ્યું છે. અત્યારે હિંસા બંધ કરો.' દરમિયાન, આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના ચીફ પ્રોસીક્યુટર, ફતાઉ બેનસૌદાએ કહ્યું કે સંઘર્ષ પર તેમની સંપૂર્ણ નજર છે. તે જોઈ રહ્યા છે કે આ સંઘર્ષ દરમિયાન યુદ્ધ અપરાધોને તો પ્રોત્સાહન નથી અપાઈ રહ્યું.!? નિષ્ણાતોને આશા છે કે તેમની ચેતવણી લોકોને રોકવાનું કામ કરશે. , ફતાઉ બેનસૌદાએ કહ્યું, "હું પશ્ચિમ કિનારે વધતી હિંસાને જોઈ રહી છું, જેમાં પૂર્વ જેરુસલેમ શામેલ છે, જે ગંભીર ચિંતાનો વિષય છે." અમે ગાઝાની સ્થિતિને પણ જોઈ રહ્યા છીએ કે ત્યાં એવા કૃત્યો તો નથી કરવામાં આવી રહ્યા કે જેને રોમની સંધિ હેઠળ યુદ્ધ ગુનાઓ કહેવામાં આવે છે. '

ઘણા દિવસોથી સતત થતી હિંસા બંધ થવાના સંકેતો દેખાતા નથી, યુએસ રાષ્ટ્રપતિ જોય બિડેને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે એક અઠવાડિયામાં ચાર વખત વાત કરી અને કહ્યું હતું કે તેમને આશા છે કે હિંસા જલ્દીથી બંધ થઈ જશે. જોય બિડેને કહ્યું, 'મારી અપેક્ષા અને આશા છે કે આ સંઘર્ષ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. પરંતુ, જો તમારા વિસ્તારમાં હજારો રોકેટનો વરસાદ થઈ રહ્યો છે, તો પછી ઇઝરાઇલને પણ પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. ' જો કે, ગ્રાઉન્ડ લેવલ પર, ઇઝરાઇલી સેનાનું કહેવું છે કે તેને ગાઝા પટ્ટીમાં પ્રવેશવાના આદેશો છે અને હમાસ ઇઝરાઇલના સંદેશાને યોગ્ય રીતે નહીં સમજે ત્યાં સુધી હવાઇ હુમલો બંધ નહીં થાય. ઇઝરાઇલી સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરીકસે યુકેની ચેનલ સ્કાય ન્યૂઝને કહ્યું હતું કે "જો હમાસ રોકેટ ચલાવવાનું બંધ કરશે તો લડત અટકી જશે."

જો કે કર્નલ જોનાથને પણ પોતાના નિવેદનમાં ઉમેર્યું કે હજી સુધી હમાસને ઇઝરાઇલનો સંદેશ મળ્યો નથી. ઇઝરાઇલ પેલેસ્ટાઇન કરતાં ઘણી વધારે શક્તિનો ઉપયોગ કરવાની વ્યૂહરચના અપનાવે છે, અને ઘણા લોકો માને છે કે આ મદદથી ઇઝરાઇલ હજી પણ આ વિસ્તારમાં પોતાનું રક્ષણ કરી રહ્યું છે, જ્યારે આખો વિસ્તાર તેની વિરુદ્ધ છે. સમયની સાથે ઇઝરાઇલે જોર્ડન અને ઇજિપ્ત સાથે શાંતિ કરારો પણ કર્યા છે. તાજેતરમાં જ, ઇઝરાયેલે સંયુક્ત આરબ અમીરાત, બહેરિન, મોરોક્કો અને સુદાન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાના કરારો પણ કર્યા છે. ઘણા લોકો માને છે કે ઇઝરાઇલ સાથે શાંતિ સ્થાપવા આ અભિયાનમાં સાઉદી અરેબિયા પણ શામેલ છે. જો કે, પેલેસ્ટિનિયન જનતાને લાગે છે કે તેમના આરબ બંધુઓએ તેમને તેમના હાલ પર છોડી દીધા છે. ગયા વર્ષે અરબી દેશો અને ઇઝરાઇલ વચ્ચે કરાર થયા બાદ આ ભાવના મજબૂત થઈ છે. નિષ્ણાતોમાં સામાન્ય મત છે કે યુ.એસ.એ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો કરવી જોઇએ. શાંતિ પ્રક્રિયા નવેસરથી શરૂ થવી જોઈએ જો આ કાયમી સંઘર્ષનો અંત લાવવો છે, તો યુનાઇટેડ સ્ટેટ્સે પેલેસ્ટાઈનોની માંગને પણ શાંતિ પ્રક્રિયામાં શામેલ કરવું પડશે. વધુ રોકેટ હુમલા અને હવાઈ હુમલામાં ફક્ત લોકોના જીવ જ જવાના છે. એ બાબત પણ યાદ રાખવી જોઈએ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાઇલને લશ્કરી સાધનો પૂરું પાડનાર સૌથી મોટો સપ્લાયર છે.ઇઝરાઇલના સંરક્ષણ મંત્રાલયને $ 735 મિલિયન ડોલરના તાજેતરના વેચાણ અંગે યુએસ કોંગ્રેસે 19 મે એ ઔપચારિક માહિતી આપી હતી. કોંગ્રેસના નિયમો અનુસાર,કાયદા ઘડનારાઓએ ગુરુવાર સુધી વેચાણની વિરુધ્ધ ઠરાવ રજૂ કરવાની અને મંજૂરી આપવાની રહેશે જો તેને અવરોધિત કરવું હોય તો. ડેમોક્રેટિક કોંગ્રેસવુમન એલેક્ઝાંડ્રિયા ઓકાસીયો-કોર્ટેઝ કે જે 2019 થી ન્યૂયોર્કના 14 મા કોંગ્રેસના જિલ્લા માટે યુ.એસ.ના પ્રતિનિધિ તરીકે કાર્યરત અમેરિકન રાજનેતા છે જેમણે ઇઝરાઇલને યુ.એસ. શસ્ત્ર વેચાણ અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને 735 મિલિયન ડોલરના મિસાઇલો-શસ્ત્રોના વેચાણને અવરોધિત કરવાના ઠરાવને તૈયાર કર્યો હતો, જેને બીડેન વહીવટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

આ બધી બાબતો,ઇઝરાયેલના કૃત્યો તેના પોતાના દાવાઓની પોલ ખોલી દે છે અને નૈતિક કાયદેસરતાને નષ્ટ કરી રહી છે જે માત્ર ભૂ-રાજકીય તક્વાદની બાબત નથી,પરંતુ મૂળભૂત ગૌરવ અને ન્યાયની વાત છે.શાહી મિજાજ નૈતિક ઉદાસીનતા તરફ દોરવાઈ રહ્યું છે.જેમાં પેલેસ્ટાઈનીયન કારણ બિલકુલ ભુલાઈ ગયું છે કે ત્યજી દીધું છે.બંને પક્ષે દિલાસો આપી ટાળવાના કારણે આ સંઘર્ષ અધિકાર અને ખોટાને સમાન રૂપે જોવાઈ રહ્યો છે.અરબ અને યુએસ પેલેસ્ટાઈનને બહાના હેઠળ યા ખો આપવામાં જ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓને પોસે છે.માનવતાવાદી વલણ ધરબાઈ ગયેલું દેખાય છે.બંને દેશોએ આત્મનિરીક્ષણ કરવું પડશે.સખત લાઈન,વધારે પડતું જમણેરી અભિગમ બંનેને બ્લેક હોલમાં ખેંચી જશે.આ બધા ઝગડા કે સંઘર્ષ વચ્ચે નિર્દોષ પીડિત નાગરિકોનું શું થશે ? શાંતિ સુલેહ,સુરક્ષા-સલામતી માટે પ્રાર્થના કરીએ.

ઇઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની ઐતિહાસિક પોઝીશન
-----------------------------------------------------------
ઇઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની ઐતિહાસિક પોઝીશન શું રહી છે એની પર નજર નાંખીએ તો ભારતના સ્ટેન્ડની વાત કરીએ તો આજદિન સુધી યુનાઇટેડ નેશન્સે પાસ કરેલા રીઝોલ્યુશન એક નહીં,બે નહીં પરંતુ પંદર વખત પેલેસ્ટાઇનનો આપણે સપોર્ટ કરેલ છે.ભારતે ઇઝરાયેલ - અમેરિકાની વિરુદ્ધ પોઝિશન લીધી છે.ભારતે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સીલમાં 17 મે સોમવારના રોજ જે પોઝિશન લીધી છે, જે ચોખ્ખું સંતુલિત સ્ટેટમેન્ટ છે,ભારતના એમ્બેસેડર ટી.એસ.ત્રિમૂર્તિ એ કહ્યું છે કે ભારત મજબૂતાઈથી પેલેસ્ટાઇનને સપોર્ટ કરે છે.બે રાજ્યો બનવા માટે હંમેશાં કટિબદ્ધ છે.2017માં ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયેલની કેપિટલ તરીકે ઓળખ આપી દીધી ત્યારે ભારતને પૂછવામાં આવ્યું ત્યારે ભારતે થર્ડ પાર્ટી ઇન્ફ્લુએન્સને નકારતાં સ્ટેન્ડ ક્લિયર કરી દીધું હતું.દોસ્તી એક બાજુ પણ પેલેસ્ટાઇન કોજ બીજી બાજુ.18 ઓગસ્ટ 2017 ના રોજ યુનાઇટેડ નેશન્સ કાઉન્સિલમાં આ મુદ્દો ગયો,વોટ થયા. ટોટલ 15 સભ્યોમાંથી 14-1 વોટ પડ્યા.આ એક વોટ અમેરિકાનું હતું જે ઈઝરાયેલ તરફ પડ્યો હતો.અમેરિકાએ વીટો કરી દીધો.21 ડિસેમ્બર 2017 માં વોટની ગણતરી થઇ 128 દેશોએ યુએનના નિર્ણયના ફેવરમાં વોટ કર્યો જેમાં ભારત પણ સામેલ હતું.એ પણ યુએસના વિરુદ્ધમાં વોટ હતો. નવેમ્બર 2017 માં ભારત ‘ઈન્ટરનેશનલ ડે ઓફ સોલીડારીટી વિથ પેલેસ્ટીનીયન પીપલ’ ઉજવણીમાં સામેલ થયું હતું. મોદી સાહેબે કહેલ કે સંપ્રભુ,મુખ્તાર,આઝાદ એકતા સાથેનો દેશ બને પેલેસ્ટાઇન.એક મિલિયન ડોલરમાંથી એડ વધારીને પાંચ મિલીયન ડોલર એડ ભારત પેલેસ્ટાઇન માટે જાહેર કરે છે, જેથી પેલેસ્ટાઈનના શિક્ષણ,આરોગ્ય અને અન્ય જરૂરિયાતોમાં મદદ થઇ શકે.ભારતે પેલેસ્ટાઇનનું વિભાજન સ્વીકાર્યું નથી.મહાત્મા ગાંધીએ ૧૯૩૮માં કહ્યું હતું કે પેલેસ્ટાઇન અરબોનું છે જેમ ઇંગ્લેન્ડ અંગ્રેજોનું અને ફ્રાંસ ફેન્ચોનું.1977 માં અટલ બિહારી બાજપેયીએ પણ એમના પ્રવચનમાં પેલેસ્ટાઈનના અધિકારને સમર્થન આપેલ.આરબ દેશોમાં જ્યારે મીટીંગો થતી ત્યારે પાકિસ્તાન ભારત વિરુદ્ધ બિલ લાવે કે રજૂઆત કરતુ ત્યારે પેલેસ્ટાઈન પ્રમુખ યાસર અરાફત ભારતના સમર્થનમાં હંમેશા આવી બિલ પાસ થવા દેતા ન હોતા.વિદેશનીતિમાં કોઈ પણ દેશ માટે ભારતનું હંમેશા નિખાલસ,મુકર્રર સમાધાનકારી અને અનુકુળ વલણ રહ્યું છે.

કતાર અને ઇજિપ્તના પ્રયત્નોને કારણે 19 મે ગુરુવારની મોડી રાત્રે ઘેરાયેલા ગાઝા પટ્ટીમાં લગભગ બે અઠવાડિયાના ભારે બોમ્બમાળા પછી, ઇઝરાઇલ અને હમાસ યુદ્ધવિરામ પર સહમત થયા હતા.ન્યુ યોર્કમાં યુનાઈટેડ નેશન્સ (યુએન) ના વડામથક પર પત્રકારોને આપેલા નિવેદનમાં સેક્રેટરી-જનરલ એન્ટોનિઓ ગુટેરેસે જણાવ્યું હતું કે, "ગાઝા અને ઇઝરાઇલની શાંતિ પુન:સ્થાપિત કરવામાં મદદ કરવા યુ.એન. સાથે સંકલન કરીને કરવામાં આવેલા પ્રયત્નો માટે હું ઇજિપ્ત અને કતારની પ્રશંસા કરું છું." , તમામ પક્ષોને યુદ્ધ વિરામનું નિરીક્ષણ કરવા હાકલ કરી છે.મધ્ય પૂર્વ શાંતિ પ્રક્રિયા માટે યુએનના વિશેષ સંયોજક ટોર વેનેસ્લેન્ડે પણ કતારને ગાઝાની પરિસ્થિતિને ખૂબ જ શાંત સ્થિતિમાં લાવવાના પ્રયત્નો બદલ આભાર માન્યો.એક નિવેદનમાં, યુરોપિયન યુનિયન (ઇયુ) ની વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે કહ્યું હતું કે, "ગાઝા અને તેની આસપાસની હિંસાને સમાપ્ત કરવા માટે જાહેર કરાયેલા યુદ્ધવિરામનું સ્વાગત" કરે છે. "અમે ઇજિપ્ત, કતાર, સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય લોકોની પ્રશંસા કરીએ છીએ જેમણે આમાં સરળ ભૂમિકા ભજવી છે. "

છેલ્લા સમાચારો મુજબ બેન્જામિન નેતન્યાહુને પદ પર રાખવાનો ઈનકાર કરતી નવી-લિકુડ વિરોધી ગઠબંધનની સરકાર બનાવવા માટે જુદા જુદા પક્ષોએ ભેગા થઈ સત્તા-વહેંચણીમાં નફતાલી બેનેટની બે વર્ષ માટે વડા પ્રધાન તરીકે પસંદગી કરવામાં આવી અને બાકીના કાર્યકાળમાં બિનસાંપ્રદાયિક સેન્ટ્રિસ્ટ યેશ એટિડ પાર્ટીના નેતા, યાયર લેપિડ સત્તાભાર સંભાળશે..

સંદર્ભ :
ફૈઝાન મુસ્તુફા
અંચલ વ્હોરા, orfonline
Heritagetimes.in
ધ્રુવ રાઠી
ન્યુયોર્ક ટાઈમ્સ ,અલ જઝીરા ,ઇન્ડિયન એક્સપ્રેસ ,ધી ટ્રીબ્યુન
Reclaiming Israel's History_ Roots, Rights, and the Struggle for Peace by David Brog

(લખ્યા તા. ૨૧/૦૫/૨૦૨૧)

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...