રાજકારણ એક વિચિત્ર રમત છે. તેના ખેલાડીઓ વોટ મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા હોય છે. આ રમતો આપણને માત્ર સંબંધિત ખેલાડીની રાજકીય વિચારધારા જ જણાવતા નથી, તે આપણને આ રમતમાં ઘટનાઓને કેવી રીતે ટ્વિસ્ટ કરવામાં આવે છે અને તે જ ઘટનાના કેવી રીતે વિરોધાભાસી અર્થઘટન કરવામાં આવે છે તેની સમજ પણ આપે છે.
કોમવાદના કારણે શહેરોની અંદર પણ સ્થળાંતરનું વલણ વધ્યું છે. મુંબઈમાં 1992-93ના રમખાણો અને ગુજરાતમાં 2002 પછી, હજારો લોકોએ તેમના ઘર છોડીને એવા વિસ્તારોમાં સ્થાયી થવાનું નક્કી કર્યું જ્યાં તેમના સમુદાયના સભ્યો બહુમતીમાં હોય. જેના કારણે અનેક શહેરોમાં એક જ સમુદાયના લોકોની વસાહતો ઊભી થઈ હતી.
કાશ્મીરી પંડિતોની હિજરતના મૂળમાં ભાગલા પછી સ્વતંત્ર રહેવાનો કાશ્મીરના મહારાજા હરિસિંહનો નિર્ણય રહ્યો છે. ત્યારબાદ, પાકિસ્તાની આદિવાસીઓએ કાશ્મીર પર આક્રમણ કર્યું, શેખ અબ્દુલ્લાએ પાકિસ્તાનને બદલે ભારતમાં વિલીનીકરણનો આગ્રહ કર્યો અને કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત સાથે સંધિ પર હસ્તાક્ષર કર્યા.
શેખ અબ્દુલ્લાએ મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાન કરતાં હિન્દુ બહુમતી ધરાવતું ભારત પસંદ કર્યું કારણ કે તેઓ દ્રઢપણે માનતા હતા કે ગાંધી અને નેહરુના નેતૃત્વમાં ભારતમાં બિનસાંપ્રદાયિકતા ટકી રહેશે અને વિકાસ પામશે.
શરૂઆતના સમયગાળામાં કાશ્મીરીઓનો ઉગ્રવાદ કાશ્મીરિયતના ખ્યાલ પર આધારિત હતો. કાશ્મીરિયત એ બૌદ્ધ ધર્મ, વેદાંત અને સૂફી પરંપરાઓનું સંયોજન છે. 1985માં મકબૂલ ભટ્ટની ફાંસી અને કાશ્મીર ખીણમાં અલ કાયદાના લડવૈયાઓની ઘૂસણખોરી પછી આ ઉગ્રવાદનું સ્વરૂપ બદલાઈ ગયું. તે સાંપ્રદાયિક પાત્ર ધારણ કરે છે. પરિણામે, હિન્દુ પંડિતો ઉગ્રવાદીઓના હુમલા હેઠળ આવ્યા.
1990 પહેલા પણ પંડિતોએ ખીણમાંથી હિજરત કરી હતી. આ સ્થળાંતર વિભાજનના રમખાણો અને શેખ અબ્દુલ્લા દ્વારા લાગુ કરવામાં આવેલા જમીન સુધારાને કારણે થયું હતું.
15મી સદીથી હિંદુઓ 'પંડિત' તરીકે ઓળખાવા લાગ્યા. આ ત્યારે થયું જ્યારે અકબરે કાશ્મીર જીતી લીધું અને હિંદુઓને વહીવટી પદો પર નિયુક્ત કર્યા. અકબર તેમની વિદ્વતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને 'પંડિત' ની ઉપાધિ આપી.
કાશ્મીરમાં ઉગ્રવાદના સાંપ્રદાયિકકરણે પંડિતોને ખીણમાંથી સ્થળાંતર કરવાની ફરજ પાડી. કાશ્મીરી ઉગ્રવાદીઓ કાશ્મીરિયતને બદલે કટ્ટરવાદના હિમાયતી બન્યા.
રાજકારણી લોકો કહે છે કે ઉગ્રવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોને વ્યવસ્થિત રીતે ખીણમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જ્યારે સત્ય એ છે કે ખીણમાં રહેતા મોટાભાગના મુસ્લિમો કાશ્મીરી પંડિતો પર કરાતા કોઈપણ રીતના અત્યાચારનો સખત વિરોધ કરતા હતા અને વર્તમાનમાં પણ કરે છે.
કાશ્મીરી આતંકવાદીઓએ માત્ર હિંદુઓને જ નિશાન બનાવ્યા એવું નથી પરંતુ મુસ્લિમોને પણ બક્ષ્યા નહીં. કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ઘાયલ અને માર્યા ગયેલા લોકોના સંદર્ભમાંના આંકડા આ હકીકતની સાક્ષી આપે છે.
કાશ્મીર ખીણના વિવિધ ભાગોમાં રહેતા હજારો મુસ્લિમોને પણ રોજગારની શોધમાં પડોશી હિમાચલ પ્રદેશમાં સ્થળાંતર કરવું પડ્યું હતું, કારણ કે આતંકવાદના કારણે કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.
આજે પણ કાશ્મીરના 40,000 મુસ્લિમો દિલ્હીમાં શરણાર્થી શિબિરોમાં રહે છે. તેઓ આસપાસના રાજ્યોમાં કુલી વગેરે તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (ફેબ્રુઆરી 05, 1992) માં એક અહેવાલ જણાવે છે કે સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરી 1990 થી ઓક્ટોબર 1992 વચ્ચે આતંકવાદીઓએ કાશ્મીર ખીણમાં કુલ 1585 લોકોની હત્યા કરી હતી. જેમાં 982 મુસ્લિમ, 218 હિંદુ, 23 શીખ અને 363 સુરક્ષા દળોના જવાનો હતા.
ખીણમાંથી પંડિતોની સામૂહિક હિજરત એ કાશ્મીરની સર્વધર્મસમભાવની લાંબી પરંપરાને મોટો ફટકો હતો. પરંતુ આપણે યાદ રાખવું પડશે કે ઉગ્રવાદીઓએ માત્ર હિન્દુઓને જ નહીં, તમામ સમુદાયના લોકોને નુકસાન પહોંચાડ્યું છે. પંડિતો એટલા ગભરાઈ ગયા હતા કે તેઓએ 1986માં જ ખીણમાંથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. પરંતુ બહુલવાદી સંસ્કૃતિમાં માનતા જાણીતા કાશ્મીરીઓ દ્વારા આયોજિત "સદભાવના મિશન"ની અપીલ પર આ નિર્ણય ટાળવામાં આવ્યો હતો. 1990 સુધીમાં કાશ્મીરમાં આતંકવાદ વધુ વધી ગયો હતો. તે સમયે જગમોહન, જે બાદમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં મંત્રી બન્યા હતા, તે કાશ્મીરના રાજ્યપાલ હતા.
બલરાજ પુરીએ તેમના પુસ્તક કાશ્મીર (ઓરિએન્ટ બ્લેકસ્વાન, 1993) માં લખે છે કે જગમોહને સદભાવના મિશનના એક પંડિત સભ્યને જમ્મુમાં સ્થાયી થવા દબાણ કર્યું. જગમોહનનો હેતુ સદભાવના મિશનને વિખેરી નાખવાનો હતો અને તેમાં તેઓ સફળ રહ્યા હતા.
બલરાજ પુરીએ માર્ચ 1990માં કહ્યું હતું કે,
“મેં જોયું કે કાશ્મીરના સામાન્ય મુસ્લિમોને પંડિતો સામે કોઈ દુશ્મની કે ફરિયાદ નથી. તેઓ માત્ર કાશ્મીરમાં સૈન્ય અને અન્ય સુરક્ષા દળો દ્વારા માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોની નિષ્પક્ષ તપાસ ઇચ્છતા હતા."
“જમ્મુ અને દિલ્હીમાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે કાશ્મીરમાં મોટી સંખ્યામાં હિંદુ મંદિરો અને પવિત્ર સ્થળોને અપવિત્ર અથવા નાશ કરવામાં આવી રહ્યા છે. આ સંપૂર્ણપણે ખોટું છે. તે આશ્ચર્યજનક છે કે શા માટે સરકારે એવું ન વિચાર્યું કે તેણે દૂરદર્શનને કાશ્મીરના મંદિરો પર ફિલ્મ બનાવવા અને તેનું પ્રસારણ કરવાનું કહેવું જોઈએ જેથી લોકો સત્ય જાણી શકે” (પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા, 1991).
એકંદરે, ખીણમાંથી પંડિતોનું પલાયન, કાશ્મીરીઓના વિમુખ થવાથી ઉગ્રવાદ, 1990 ના દાયકાના અંતમાં આ ઉગ્રવાદનું સાંપ્રદાયિકકરણ, હિંદુ સાંપ્રદાયિક સંગઠનો દ્વારા પંડિતોના મનમાં ડર અને રાજ્યપાલ જગમોહનનું દબાણ એ કમનસીબ પરિણામ હતું. અબ્દુલ્લાની આમાં કોઈ ભૂમિકા નહોતી.
કાશ્મીરના પ્રસિદ્ધ કવિ કલ્હાન તેમના પુસ્તક 'રાજતરંગિણી'માં લખે છે કે કાશ્મીરને બળથી નહીં પરંતુ માત્ર પુણ્યથી જીતી શકાય છે.'
કાશ્મીરને લઈને નીતિઓ બનાવનાર સરકારમાં બેઠેલા લોકોને આપણે કાશ્મીરના આ પ્રાચીન કવિના પાઠ યાદ કરાવવા જોઈએ. કોઈ એક રાજકીય પક્ષ કે નેતા પર આરોપ લગાવવાથી કંઈ જ નહીં મળે. જ્યારે આપણે આ ભયાનક દુર્ઘટના વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વૈશ્વિક આતંકવાદ, વિશ્વના તેલ સંસાધનોને કબજે કરવાની અમેરિકાની ઇચ્છા વગેરેનો પણ ફાળો છે.
- રામ પુનિયાની
(મૂળ અંગ્રેજીથી ગુજરાતી સંસ્કરણ હિદાયત પરમાર)
(લેખક IIT મુંબઈમાં ભણાવતા હતા અને 2007ના નેશનલ કોમ્યુનલ હાર્મની એવોર્ડી છે.)
(નોંધ – "કાશ્મીરી પંડિતોની દુર્દશાનું રાજનીતિકરણ" પર ડૉ. રામ પુનિયાનીનો આ લેખ મૂળરૂપે 10 મે 2016ના રોજ પ્રકાશિત થયો હતો. )
Comments
Post a Comment