“ખુલ્લી છત પર સાદડી પર શરીર ઊંચકીને એકલો બેઠેલો એક માણસ અમારી રાહ જોઈ રહ્યો હતો. શ્યામ રંગ, કડક શરીર, સરેરાશ ઊંચાઈ કરતાં કંઈક અંશે ટૂંકું; નાની, તીક્ષ્ણ, કાંટાદાર આંખો; ચહેરા પર શીતળાની ફોલ્લીઓ. તે કાકોરી કેસનો ફરાર આરોપી ચંદ્રશેખર આઝાદ હતો." ક્રાંતિકારી શિવ વર્મા આ શબ્દોમાં આઝાદ સાથેની તેમની પ્રથમ મુલાકાતનું વર્ણન કરે છે. આ બેઠક રાધા મોહન ગોકુળના ઘરે થઈ હતી. આ એ જ આઝાદ હતા, જેનું નામ બ્રિટિશ સરકાર અને ઈન્ટેલિજન્સ પોલીસ માટે માથાનો દુખાવો હતું. કારણ કે આખરે આઝાદ પોતાની વાત પર મક્કમ રહ્યા કે "હું જીવતો છું ત્યાં સુધી મારા શરીરને કોઈ સ્પર્શ કરી શકશે નહીં."
પણ આઝાદ માત્ર રિવોલ્વર લઈને ચાલનારા,કસરતી બદન અને ગોળમટોળ ધારદાર મૂછો ધરાવતો ક્રાંતિકારી માત્ર ન હોતા. સ્વયં શિવ વર્માના શબ્દોમાં કહીએ તો, આઝાદ એક નમ્ર, વિનોદી, મિલનસાર માણસ હતા, પણ જ્યારે તક મળે ત્યારે તે ખૂબ જ મક્કમ અને અટલ પણ. આઝાદને વાંચન-લેખનની બાબતમાં મર્યાદાઓ જરૂર હતી, પરંતુ તેઓ હંમેશા ભગતસિંહ, સુખદેવ જેવા ક્રાંતિકારી સાથીઓ પાસેથી કંઈક નવું જાણવા અને શીખવા માટે ઉત્સુક રહેતા.
આઝાદને સમાજવાદમાં ઊંડો રસ હતો, તેથી તે તેમના સાથીદારો સાથે તેને લગતું સાહિત્ય વાંચતા અને પ્રશ્નો પૂછતા. સમાજવાદ સાથે સંકળાયેલી વિભાવનાઓ, જેમ કે શોષણનો અંત, સમતાવાદી અને વર્ગવિહીન સમાજે આઝાદને ઊંડે સુધી પ્રભાવિત કર્યું.
અને તે કારણ વગર શિવ વર્માએ નથી લખ્યું કે "આઝાદ પૂજાની નિર્જીવ મૂર્તિ નથી; તેના બદલે, તે નિશ્ચિત માર્ગ પર મજબૂત પગલાઓ સાથે ચાલતો પથિક છે. એક સૈનિક છે જે મૃત્યુને પોતાની સામે ઊભું જોઈને પણ હસી શકે છે. તેને પડકારી શકે છે, અને સૌથી મોટી વાત, તે એક એવો માણસ છે કે જેનામાં ખાનદાનીનો ઘમંડ મોટો થયો તો પણ રતીભાર સ્પર્શ નથી કરી શક્યો."
શિવ વર્મા સાથેની તે વાતચીતમાં, આઝાદે ઉત્તર ભારતમાં ક્રાંતિકારી ચળવળના પુનઃનિર્માણ માટે જૂના સ્ત્રોતો અને સંપર્કો શોધવા, શસ્ત્રો, સંગઠન અને બંગાળ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો આગ્રહ રાખ્યો હતો. કહેવાની જરૂર નથી કે આઝાદ એક મહાન સંગઠનકર્તા પણ હતા.
ખેડૂતો, આદિવાસીઓ અને મજૂરોના જીવન સાથે ગાઢ સંપર્ક ધરાવતા આઝાદ જ્યારે પણ તેમના વિશે વાત કરતા ત્યારે તેમના અનુભવોથી તે વાત સમૃદ્ધ થતી હતી. કારણ કે અલીરાજપુર રજવાડાના ભાવરા ગામમાં વિતાવેલ બાળપણના દિવસો દરમિયાન આઝાદ આદિવાસીઓની સાથે રહેતા હતા. પંદર વર્ષની નાની ઉંમરે તેઓ ઘર છોડીને બોમ્બે ગયા. જ્યાં તેમણે જહાજના કલરકામ કરતાઓ સાથે થોડા દિવસ રંગકામ કર્યું. અહીં પહેલીવાર કામદારોના રોજિંદા જીવનમાંથી અને તેમની વેદનાઓ સાથેનો અનુભવ આઝાદને થયો હતો.
બાદમાં, તેઓ બનારસ આવ્યા અને શિવવિનાયક મિશ્રાની મદદથી એક સંસ્કૃત શાળામાં પ્રવેશ લીધો. અસહકાર ચળવળ દરમિયાન ધરણામાં ભાગ લેવા બદલ સજા તરીકે ચાબુકની માર ખાવા અને મેજિસ્ટ્રેટ સમક્ષ કોર્ટમાં પોતાનું નામ મુક્ત જાહેર કરનાર આ ક્રાંતિકારીના જીવનમાં હજુ ઘણી તકો આવવાની બાકી હતી.
1922 માં, આઝાદ કાશી વિદ્યાપીઠમાં દાખલ થયા અને અહીં જ તેઓ મન્મથનાથ ગુપ્તા અને પ્રણવેશ ચેટરજીને મળ્યા અને ક્રાંતિકારી ચળવળમાં જોડાઈ ગયા. હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી વિશે, આઝાદે એકવાર તેમના ક્રાંતિકારી સાથીઓને કહ્યું હતું કે "અમારું દળ આદર્શ ક્રાંતિકારીઓનું દળ છે, દેશભક્તોનું દળ છે, હત્યારાઓનું નહીં."
અને જેમ કે શિવ વર્મા પણ લખે છે, “એ સાચું છે કે અમે લોકો સશસ્ત્ર ક્રાંતિના માર્ગ પર હતા. પરંતુ એ ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય માનવજાત માટે સુખ અને શાંતિનું વાતાવરણ ઊભું કરવાનો હતો. અમે માનવ જીવનથી ઊંડે સુધી મોહિત હતા. અમે લોકોના નહીં પણ વ્યવસ્થાના વિરોધમાં હતા. વ્યક્તિઓ સાથે અમારો મુકાબલો એ હદ સુધી હતો કે તેઓ અસમાનતા પર આધારિત તે સમયની સામાજિક-રાજકીય વ્યવસ્થાના પ્રતિનિધિ બનીને આવતા હતા."
આઝાદને હંમેશા HSRA ના તમામ સભ્યો અને તેમના પરિવારો માટે હંમેશા ઊંડી ચિંતા રેહતી. ક્રાંતિકારી ભગવાનદાસ માહૌર અને સદાશિવરાવ મલકાપુરકર, જેમને તેઓ 'ભગવાન' અને 'સદ્દુ' કહેતા હતા, તેઓ તેમના નજીકના સાથી હતા. બહુ ઓછા લોકો જાણે છે કે આ મહાન ક્રાંતિકારી સંગીત પ્રેમી પણ હતા. શિવ વર્માના જણાવ્યા અનુસાર, આઝાદે ઘણીવાર ભગવાનદાસ માહૌર અને વિજય કુમાર સિન્હાને ગીત સંભળાવવા માટે વિનંતી કરતા.
ક્રાંતિકારી આઝાદ વિશે વધુ જાણવા માટે વાંચો: ક્રાંતિકારી શિવ વર્માનું પુસ્તક “संस्मृतियाँ” (NBT), માલવિંદર જીત સિંહ વઢૈચનું “ચંદ્રશેખર આઝાદ વિવેકશીલ ક્રાંતિકારી” (રાજકમલ પબ્લિકેશન્સ); વિશ્વનાથ વૈશમ્પાયન દ્વારા લિખિત પુસ્તક "અમર શહીદ ચંદ્રશેખર આઝાદ"
- શુભનીત કૌશિક
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ
Comments
Post a Comment