ઈંગ્લેન્ડના વતની ૧૨ ફેબ્રુઆરી ૧૮૭૧ના દિવસે જન્મેલા ચાર્લ્સ એન્ડ્રુઝને સૌ C.F ના નામે ઓળખે.કેમ્બ્રિજની સર્વોચ્ચ ડિગ્રી મેળવી અધ્યાપન કાર્ય ત્યાં જ કર્યું.નાનપણથી જ ભારત પ્રત્યે ખેંચાણ હોવાથી એમની માઁ ને કહેતા કે : 'માં હું હિંદુસ્તાન જઈશ.' પાદરી અને મિત્ર એવા બેસિલ વેસ્ટકોટ ભારતની વિશેષતાઓ વિશે ઘણીવાર વખાણ કરતા.કોલેજની યશસ્વી કારકિર્દી પસાર કરી ચાર વર્ષ સુધી ગરીબ-દુ:ખિયારાં વચ્ચે કામ કર્યું.સ્વૈચ્છિક સાધુજીવન અપનાવ્યું.આમ તો તેઓ ગાંધી-બંધુ, પરંતુ એ બંધુત્વ અપનાવવા પ્રેરકબળ હતું દીનદુખિયારા પ્રત્યેનો બંધુભાવ. ગરીબોના સખા સમાન - ઠક્કરબાપા અને રવિશંકર મહારાજ જેવી સેવભાવના પ્રખર હિમાયતી.
૧૯૦૪ માં ભારત આવવાનો નિર્ણય તેમના કુટુંબીજનો માટે આઘાતજનક પરંતુ ૨૦ માર્ચ ૧૯૦૪ ના દિવસને પોતાનો પુનર્જન્મ દિન ગણે છે.એમના પ્રત્યક્ષ દર્શને અનુભવ્યું કે બુદ્ધિ,જ્ઞાન અને અનુભવમાં પૂર્વ પશ્ચિમ કરતાં ઘણું પ્રાચીન છે.જેમ જેમ ભારતનો પરિચય વધતો ગયો એમ એની સાથે ભારતના રાષ્ટ્રીય આંદોલનોના નેતા દાદાભાઈ નવરોજી,ગોપાલકૃષ્ણ ગોખલે સાથે પરિચય થયો અને પછી ભારતની 'પૂર્ણ સ્વતંત્રતા' ના સમર્થક બની ગયા.૧૯૨૦માં તો એમનો નિર્ણય એવો હતો કે હિંદે સલ્તનતની છાયા નીચેથી છૂટી જવું જ સારું છે.
૧૯૧૨માં માંદગીના કારણે લંડન જવાનું થતાં ત્યારે રવિન્દ્રનાથ ટાગોરને મળવાનું થયું અને મુલાકાત દરમિયાન જ શાંતિનિકેતનમાં રહેવાના બી નંખાઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તો દક્ષિણ આફ્રિકા જવાનું થયું, બંદર પર ગાંધીજી ખુદ લેવા આવ્યા હતા.એન્ડ્રુઝ એમના પગે પડી ગયા,પણ ગાંધીજીએ એ વાતનો વિરોધ કર્યો.અખબારોએ પણ એક અંગ્રેજ કાળા માણસના પગે પડે એ ઘટનાને ખુબ ચગાવી.શાંતિનિકેતનના બદલે ફિનિક્સ આશ્રમમાં રહેવાનું મળ્યું અને કોટ-પાટલૂનને બદલે હવે લેંઘા-ઝભ્ભામાં આવી ગયા.આશ્રમનું સાદું સંયમભર્યું વિચારમય જીવન અંતરમાં વસી ગયું.બીજી તરફ બીજા સત્યાગ્રહની તૈયારી શરૂ થઈ રહી હતી,ત્યાં ઈંગ્લેન્ડથી માતાની ગંભીર તબિયતના સમાચાર આવ્યા. ગાંધીજીની સલાહથી એન્ડ્રુઝ લંડન જવા તૈયાર થયેલા.પરંતુ સત્યાગ્રહની પરિસ્થિતિને કારણે જઈ ન શક્યા અને ત્યાં રહીને જ જનરલ સ્મટ્સ સાથે વાટાઘાટો ચલાવી,સમાધાન તરફ સત્યાગ્રહને વાળવાના પ્રયાસો કરતા રહ્યા.
૧૯૧૪માં ગોખલેના આગ્રહથી દક્ષિણ આફ્રિકા ગયા તો ત્યાં ગાંધીજી મળી ગયા.પછી તો ગાંધીજી સાથે એવી અભિન્ન દોસ્તી જામી ગઈ કે ગાંધીજી એમને 'ચાર્લી' કહેતા,તો એન્ડ્રુઝ એમને 'મોહન' કહેતા.
ભારતમાં જ્યારે શાંતિનિકેતન રહેતા હતા,ત્યારે ત્યાં ૧૯૧૫ માં ગાંધીજી ગયેલ.પછી ફીજી ટાપુમાં ભારતીયોની સેવામાં લાગેલા હતા,ત્યાં કામ આદર્યું અને ત્યાં જ 'દીનબંધુ' નામની કમાણી કરી.ત્યાંના ભારતીય મજૂરોને ગુલામીમાંથી છોડાવ્યા.ફરી પાછા ૧૯૨૦ માં ભારત આવ્યા ત્યારે જુદા જુદા સ્થળોએ અનેક સેવાકાર્ય ચલાવ્યાં.૧૯૩૧ ની ગોળમેજી પરિષદ વખતે, ગાંધીજીના નિવાસસ્થાને મુખ્ય દ્વારપાળ બની મુલાકાતીઓનું નિયમન કર્યું.
૧૯૩૮ માં 'વિશ્વભારતી' સંસ્થાના ઉપાચાર્ય નિમાયા.ગાંધીજી પાસે અવારનવાર આવતા.૧૯૪૦ની પાંચમી એપ્રિલે અવસાન થયું ત્યારે ગાંધીજીએ કહ્યું : 'એન્ડ્રુઝના મૃત્યુથી ભારતનો જ એક સપૂત નથી ખોવાયો,સમસ્ત માનવજાતિનો સપૂત ખોવાયો છે.મારા મતે એન્ડ્રુઝ સૌથી મહાન,અને શ્રેષ્ઠ અંગ્રેજોમાંના હતા.ભારતે તેમને 'દીનબંધુ' નું બિરુદ આપેલું અને તેને તેઓ યોગ્ય જ હતા,કેમ કે તમામ દીનદુ:ખિયારાના તેઓ બંધુ હતા.'
એન્ડ્રુઝ અને ગાંધીજી બંને દિલોજાન દોસ્ત,તેમ છતાં બંને વચ્ચે કેટલાક પાયાના મતભેદો પણ હતા.તેમાંય ગાંધીજીના ઉપરવાસથી તેઓ ખૂબ વિહ્વળ થઈ જતા.ગાંધીજી એન્ડ્રુઝને પૂર્વ-પશ્ચિમ વચ્ચે સેતુરૂપ માનતા,તો એન્ડ્રુઝ ગાંધીજીને વીસમી સદીના ઈસુના પયગંબર ગણતા.આફ્રિકાની લડત પૂરી થતાં એન્ડ્રુઝ ૧૯૧૪માં ભારત પાછા ફરી શાંતિનિકેતન ગયા.ત્યાંથી ફિજી જઈ હિંદી મજૂરોની દુર્દશા સગી નજરે જોવાની વાત ઊભી થઈ અને નાદુરસ્ત તબિયતે જ ફિજી જવાનું થયું.ત્યાં હિંદી મજૂરોની ગુલામ પ્રથા દૂર કરવા તનતોડ પ્રયાસ કર્યા.ભારતનું આઝાદી આંદોલન ગાંધીજીની દોરવણી હેઠળ જોશભેર ચાલી રહ્યું હતું. ત્યાં પંજાબની અત્યંત કરુણાજનક ક્રૂર ઘટના ઘટી,એટલે એન્ડ્રુઝ પંજાબ દોડી ગયા.એમનો આ પંજાબ-વસવાટ અનેક અવનવા રંગોથી સભર છે. પંજાબીઓને તો આ ગોરા પાદરીનું એવું ઘેલું લાગી ગયેલું કે લોક પ્રાર્થના કરતા કે ઈંગ્લેન્ડની ભૂમિ પર આવા અનેક એન્ડ્રુઝ પાકે.પરંતુ એટલામાં પૂર્વ આફ્રિકા જવાની જરૂરિયાત ઊભી થઈ,એ વળી જુદો ઈતિહાસ ! એમનું સમગ્ર જીવન દીનદુ:ખિયારાની વહારે ધાવામાં પસાર થયું, જ્યાં ગયાં ત્યાં માથું મૂકીને કામ કર્યું.એમની આ નિ:સ્વાર્થ સેવાઓ સામે જોઈને જ ગાંધીજીએ એમને 'દીનબંધુ' ની માનવંતી પદવી આપેલી. ૧૯૪૦ ની પાંચમી એપ્રિલે તેઓએ અંતિમ વિદાય લીધી.
ગાંધીજીએ એમને શ્રધ્ધાંજલી આપતાં કહેલું : "અમારી ભાઈબંધી એક અંગ્રેજ અને એક હિંદી વચ્ચેની નહોતી. બે શોધક કે બે સેવક વચ્ચેની એ અતૂટ ગાંઠ હતી." ગાંધીજીની 'તમારો મોહન' શબ્દ એમને પાણી-પાણી કરી નાખતો.ગાંધીજી લખતા કે તમારે એક નર્સની જરૂર છે, અને એ નર્સ હું બનું એવું ઘણું ય ઈચ્છું છું પણ… ' ગાંધીજીની શ્રેષ્ઠ અંજલિ તો આ વાક્ય દ્વારા વ્યક્ત થાય છે કે : "ઈંગ્લેન્ડ પ્રત્યેનો તેમનો પ્રેમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ્રેજ કરતાં કોઈ રીતે ઊતરતો નહોતો, તો બીજી બાજુ,હિંદ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હિંદીના પ્રેમની બરોબરી કરે એવો હતો"... દીનબંધુનાં વીર સુકૃત્યો ઈંગ્લેન્ડ અને હિંદની હસ્તિ હશે ત્યાં સુધી કદી નહીં ભૂલાય. આ ચાર્લી-મોહનની જોડીમાં 'ચાર્મ' પણ છે અને મોહિની પણ છે.આવો એક એક મધુર અદ્વૈત સંબંધ બંને વચ્ચે સ્થપાયો. ગાંધીજીએ કહ્યું છે કે : 'એન્ડ્રુઝ કરતાં વધારે સાચા,વધારે નમ્ર અને એમના કરતાં વધારે ભારભક્ત બીજો કોઈ દેશસેવક ભારતમાં નથી!"
આનાથી મોટી અંજલિ બીજી કઈ હોઈ શકે? સુદામા-કૃષ્ણની જોડી એવી અદ્ભુત સખ્ય ભાવનાથી સભર હતી આ જુગલજોડી !
સાભાર : લોકસ્વરાજ માસિક
Comments
Post a Comment