Skip to main content

નફરત નહીં - સંવાદ - ડો. ઈઝેલદીન અબ્દુલૈશ


"આપણે બધાએ એ સમજવાની જરૂર છે કે દરેક દેશમાં, દરેક ધર્મમાં,દરેક સંસ્કૃતિમાં અનિષ્ટ તત્ત્વો હોય છે, પરંતુ આ સાથે બધા દેશમાં શાંત સમુદાય પણ હોય છે.હું ઇચ્છું તેમ તેઓ પણ ઇચ્છે છે કે એક બીજાના વિચારો -દ્રષ્ટિકોણ-ચિંતાઓ સાંભળીને બે દેશના લોકોને સાથે જોડી શકાય છે.સહઅસ્તિત્વ શક્ય છે.મધ્યપૂર્વમાં પેઢી દર પેઢીથી ચાલતી નફરત અને લોહીયાળ જંગ તરફ નજર નાંખો. આ પરિસ્થિતિને સંવાદ અને સમજણથી પરિવર્તિત કરી શકાય છે. એક પક્ષને ફાયદો થાય અને બીજો પક્ષ માથું નીચું કરીને બધું સ્વીકારી લે તે રીતે આનો ઉકેલ નહીં આવે. એકબીજા પર દોષારોપણ કરવાનું બંધ કરીને સંવાદ શરૂ કરો. દરેક વ્યક્તિ જાણે છે કે હિંસાથી હિંસા જ વધે છે અને વધુ નફરત ફેલાય છે. આપણે એકબીજાની સચ્ચાઈને સમજવાની જરૂર છે. તે માટે અસહિષ્ણુતા ને બદલે સહિષ્ણુતાના, ધિક્કારને બદલે પડેલા ઘાને રુઝાવનારા સંદેશાઓની આપ-લે કરીએ."

- ડો. ઈઝેલદીન અબ્દુલૈશ
-------------------------------------------------------------------
નફરત નહીં - સંવાદ
મહાત્મા ગાંધીજી હિંદુ-મુસ્લિમ એકતા માટે અનેક મુશ્કેલીઓ વચ્ચે સતત પ્રયત્નશીલ રહ્યા અને આખરે તે પ્રશ્ને જ તેઓ શહીદ થયા. 'હું નફરત નહિ કરું' ના કથાનાયક ડો. ઈઝેલદીન અબુલૈશ પણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ-સંવાદ સ્થપાય તે માટે ઝઝૂમતા રહે છે,અનેક અંગત કરુણ ઘટનાઓ વચ્ચે પણ અહિંસા,સર્વધર્મસમભાવ,પ્રેમ,શાંતિ,સંવાદ દ્વારા પ્રશ્ન ઉકેલાય તે માટે પ્રયત્નશીલ રહે છે. તે જાણીને વિચાર આવે કે ભલે કહેવાતા બુદ્ધિજીવીઓ ગાંધીની પ્રસ્તુતતા ન સ્વીકારતા હોય પરંતુ વિશ્વભરમાં અન્યાય-અત્યાચાર- શોષણ સામે લડતાં લોકો માટે તો તે વધુ ને વધુ પ્રસ્તુત બની રહ્યા છે. ભલે આખા પુસ્તકમાં ગાંધીજીનું નામ નથી પણ તેમના અભિગમમાં સતત ગાંધીનું હૃદય અનુભવાય છે.
આપણે ત્યાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે આજે પણ હૃદયની એકતા સ્થપાઈ નથી. તેમાં અનેક રમખાણોની ગોઝારી ઘટનાઓએ વૈમનસ્ય વધાર્યું છે ત્યારે હિન્દુ મુસ્લિમ એકતા માટે મથનારાઓ માટે આ પુસ્તક પ્રેરણા રૂપ અને આશાનો સંચાર કરનારું છે.
ડો. ઈઝેલદીન ગાઝાપટ્ટીના એક રાહત કેમ્પમાં જન્મ્યા છે. અનેક અભાવો અને ગરીબાઈ વચ્ચે બચપણ વિત્યું. મજૂરી કામ કરવા સાથે અભ્યાસ કર્યો.ભારે પરિશ્રમ દ્વારા ડોક્ટર બન્યા. વંધ્યત્વ દૂર કરવાના નિષ્ણાત બનેલ. ઇઝરાયેલની હોસ્પિટલમાં તે પ્રથમ પેલેસ્ટિનિયન ડોક્ટર છે.જીવનભર પોતે પેલેસ્ટિનિયન હોવાને લીધે અપમાન-તુચ્છકાર-પરેશાની વેઠતા રહે છે, છતાં ચિત્તમાં કડવાશ રાખ્યા વિના ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ સ્થપાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે,પોતાના બાળકોને તેવા જ સંસ્કાર આપે છે. તેઓ ઇઝરાયેલની વંધ્યા મહિલાઓની સારવાર કરીને તેને બાળકો જન્માવે છે ત્યારે તેના પેલેસ્ટાઇન સાથીઓ કહે છે કે "જે ઇઝરાયેલી બાળકો જન્મે છે તે આપણા પર જ બોંબ ફેંકશે, તું શા માટે એમની સારવાર કરે છે?" ત્યારે જવાબમાં ડૉ. ઈઝેલદીન કહે છે કે "અમે બધા ભેદભાવ હોસ્પિટલની બહાર મૂકીને અંદર દાખલ થઈએ છીએ.જીવનને બચાવવું એ જ અમારો ધર્મ છે." આમ તેઓ બે દેશો વચ્ચે 'સેતું' બનવા ઈચ્છે છે.
ડો. ઈઝેલદીન પરદેશમાં છે ત્યારે તેમના પત્ની ગંભીર બિમારીમાં સપડાય છે. તેની પાસે પહોંચતા વચ્ચે જે રીતે તેમને અટકાવાય છે અને પત્ની બેભાન થઈ જાય ત્યારે ત્યાં પહોંચી શકે છે તે ઘટના તથા પોતે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસ કરતા હોવા છતાં પોતાના ઘર પર જ ઇઝરાયેલી લશ્કર બોમ્બમારો કરે છે અને તેમની ત્રણ પુત્રીઓ અને એક ભત્રીજી તેમાં મૃત્યુ પામે છે, ત્યારે ડો. ઈઝેલદીન સ્વાભાવિક રીતે જ ખૂબ દુઃખી છે, પરંતુ ત્યારે પણ કોઈના પ્રત્યે નફરત નથી દાખવતા. તેઓ લખે છે, "હું કોને નફરત કરું? જે ડોક્ટરો નર્સો સાથે હું કામ કરું છું તેને નફરત કરું? જે બાળકોને મેં જન્મ આપ્યો છે તેને નફરત કરું? જેઓ મારા ઘવાયેલા બાળકોની સારવાર કરે છે તેને નફરત કરું? નફરત એક રોગ છે તે સ્વસ્થતાને તથા શાંતિને અટકાવે છે."
તેઓ માને છે કે બદલાની ભાવના આત્મઘાતી છે. પરસ્પર આદર,સમાનતા અને સહજીવન જ આગળ વધવાનો એકમાત્ર માર્ગ છે.
તેઓ કહે છે કે 'કરુણાંતિકા આપણા જીવનનો અંત નથી. તે આપણને નિયંત્રણમાં લઇ લે અને હટાવી દે એવું ન થવા દેવું જોઈએ.' આથી જ તેઓએ અંધકારના માર્ગે - નફરતના માર્ગે જવાને બદલે પ્રકાશના પંથે - બધા માટેના સારા ભવિષ્ય માટે કામ કરવાનું વિચાર્યું.
વૈશ્વિકરણના યુગમાં દરેક દેશે - દરેક સમુદાયે એકબીજા સાથે જ જીવવાનું છે.શાંતિ-સંવાદ-આત્મીયતાથી બધા જ દિવસે તો જ દરેકને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.આ પુસ્તક આ દિશા તરફ બધાને દોરે તે સદ્દભાવના.
- ડો. પ્રફુલ્લ દવે (અનુવાદક 'હું નફરત નહીં કરું' પુસ્તક )
તા. ૩૦-૦૧-૨૦૧૨

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...