Skip to main content

રાષ્ટ્રપતિ ચૂંટણીની રસપ્રદ વાતો. ભાગ -2


સિન્ડિકેટ તો ઈન્દિરા ગાંધીને રાષ્ટ્રપતિ બનાવીને રાજકીય રીતે ખતમ કરવા માંગતી હતી..!
ઈન્દિરા ગાંધીએ 19 જુલાઈના દિવસે મોરારજી દેસાઈની હકાલપટ્ટી કરીને બેંકોના રાષ્ટ્રીયકરણનો ધડાકો કર્યો હતો.
દેશમાં પ્રથમ વખત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા.
દેશના આગામી રાષ્ટ્રપતિ માટે મતદાન થયું છે. તે નિશ્ચિત છે કે દ્રૌપદી મુર્મુ ભારતની પ્રથમ નાગરિક હશે.
આ અવસર પર અમે તમને ઇતિહાસની સૌથી રસપ્રદ રાષ્ટ્રપતિ ચૂંટણીની વાતો જણાવી રહ્યા છીએ.
જેમ આગળ વાંચ્યું તેમ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમના ઉમેદવાર વી.વી. ગિરીને કોંગ્રેસના ઘોષિત ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીને પછાડીને 'અંતરાત્માના અવાજ' પર રાષ્ટ્રપતિ બનાવ્યા. આ પછી ઈન્દિરાને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવ્યા અને પાર્ટીના બે ટુકડા થઈ ગયા.
1969ની આ ચૂંટણી અનેક રાજકીય વાર્તાઓથી ભરેલી છે.
કામરાજે ઈન્દિરા ગાંધીને રાષ્ટ્રપતિ બનાવવાનો દાવ ફેંક્યો
આગળના લેખમાં ઉલ્લેખ કર્યો કે ઇન્દિરા ગાંધીને 'મુંગી ગુડિયા' કહેતા કોંગ્રેસના ખાંટુ દિગ્ગજો સાથે તેમનો સંઘર્ષ પહેલેથી જ શરૂ થઈ ગયો હતો. કામરાજ, નિજલિંગપ્પા, અતુલ્ય ઘોષ, એસ.કે. પાટીલ, મોરારાજી દેસાઈ, નીલમ સંજીવ રેડ્ડી વગેરેનું જૂથ 'સિન્ડિકેટ' તરીકે ઓળખાવા લાગ્યું. સિન્ડિકેટ ઈન્દિરા ગાંધીના માર્ગમાં કાંટા નાખતી રહી.
રસપ્રદ વાત એ છે કે, બે સિન્ડિકેટ દિગ્ગજ કામરાજ અને નિજલિંગપ્પાએ ઈન્દિરા ગાંધીને વડા પ્રધાન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ ટૂંક સમયમાં તેમની વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ હતી.
ડૉ. ઝાકિર હુસૈનના આકસ્મિક અવસાનથી અકાળે રાષ્ટ્રપતિની ચૂંટણીની હાકલ થઈ. આ પ્રસંગે, સિન્ડિકેટે ઇન્દિરા ગાંધીને દબાવવા માટે જાળ નાખવાનું શરૂ કર્યું.
ચૂંટણી પહેલા બેંગલુરુમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ સમયે પાર્ટીના અધ્યક્ષ સિન્ડિકેટના સૂરમા એસ નિજલિંગપ્પા હતા.
નિજલિંગપા મૈસુરના પ્રથમ મુખ્યમંત્રી રહ્યા હતા.
જેમાં પક્ષ દ્વારા ઉમેદવાર નક્કી કરવાના હતા. ઇન્દિરા ગાંધીએ બાબુ જગજીવન રામનું નામ આગળ કર્યું, પરંતુ સિન્ડિકેટ તેમની મનમરજી કરવા પર મક્કમ હતું. તેણે નીલમ સંજીવા રેડ્ડીનું નામ મૂક્યું.
વર્કિંગ કમિટીમાં ઈન્દિરા ગાંધી માત ખાઈ ગયા. બહુમતી સાથે રાષ્ટ્રપતિ પદ માટે સિન્ડિકેટ ઉમેદવાર રેડ્ડીનું નામ નક્કી કરવામાં આવ્યું. પરંતુ સિન્ડિકેટનો અસલી દાવ હજુ આવવાનો બાકી હતો.
રેડ્ડીના નામનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં કે. કામરાજે તેમના ભાષણમાં ઈન્દિરા ગાંધીના ખુબ વખાણ કર્યા અને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ઈન્દિરાજી પોતે રાષ્ટ્રપતિની ચૂંટણી લડે.
ઈન્દિરા ગાંધી માટે એ સમજવું અઘરું નહોતું કે સિન્ડિકેટ તેમના રાજકીય જીવનને ખતમ કરવા માટે જાળ બિછાવે છે.
ઈન્દિરા ગાંધીએ કામરાજની દરખાસ્ત સાંભળી નહીં કે ધ્યાને લીધી નહીં, પરંતુ સિન્ડિકેટને ખતમ કરવાની પ્રતિજ્ઞા લઈને બેંગ્લોરથી દિલ્હી પરત ફર્યા હતા.
મોરારજી દેસાઈને હાંકી કાઢીને બેંકોનું રાષ્ટ્રીયકરણ
ઈન્દિરા ગાંધીને વૃદ્ધ નેતાઓની સિન્ડિકેટ સામે લડવામાં પાર્ટીના 'યુવાન તુર્ક' નેતાઓનું સમર્થન મળી રહ્યું હતું. (ઓલ્ડ ગાર્ડ વિ. યંગ તુર્ક) ની આ મૌસમમાં, ઇન્દિરા ગાંધીએ યંગ તુર્કોની બહુપ્રતીક્ષિત માંગને પૂર્ણ કરવાનું નક્કી કર્યું.
આ માંગ બેંકોના રાષ્ટ્રીયકરણની હતી. ચંદ્રશેખર, મોહન ધારિયા, કૃષ્ણકાંત જેવા યુવા તુર્કો આ માટે અવાજ ઉઠાવી રહ્યા હતા જ્યારે સિન્ડિકેટના વડીલો તેના માટે તૈયાર ન હતા.
ખાસ કરીને ઈન્દિરા ગાંધી સરકારમાં નાણાપ્રધાન મોરારજી દેસાઈ આ માટે બિલકુલ સંમત ન હતા.
ઈન્દિરા ગાંધીએ સૌથી પહેલા મોરારાજીને મંત્રી પદ પરથી હટાવ્યા હતા. ચોવીસ કલાકમાં બેંકોના રાષ્ટ્રીયકરણ માટેનો વટહુકમ તૈયાર કરવામાં આવ્યો અને 19 જુલાઈ 1969ના રોજ બેંકોના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરવામાં આવી.
(આ એક યોગાનુયોગ છે કે આજે 19મી જુલાઈ છે.)
રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને ઈન્દિરા ગાંધીના આ ઐતિહાસિક નિર્ણયે સિન્ડિકેટને સ્તબ્ધ કરી દીધું હતું. દેશમાં આ નિર્ણયને સારો પ્રતિસાદ મળ્યો હતો.
બંને પદ ખાલી થઈ રહ્યા હતા તેથી CJI રાષ્ટ્રપતિ બન્યા.
આ ચૂંટણીમાં વધુ એક રસપ્રદ ઘટના બની.
રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનનું અવસાન થયું ત્યારે વીવી ગિરી ઉપરાષ્ટ્રપતિ હતા. પરંપરા અનુસાર, તેઓ કાર્યકારી પ્રમુખ બન્યા.
પરંતુ જ્યારે ઈન્દિરા ગાંધીના કહેવા પર વીવી ગિરી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા ત્યારે તેમણે કાર્યકારી રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
દરમિયાન, જ્યારે ઇન્દિરા ગાંધીએ બેંકોના રાષ્ટ્રીયકરણ માટે વટહુકમ તૈયાર કરાવ્યો, ત્યારે વીવી ગિરીએ રાષ્ટ્રપતિ તરીકે તેના પર હસ્તાક્ષર કર્યા અને બીજા દિવસે રાજીનામું આપ્યું.
હવે બીજું સંકટ ઊભું થયું.
ગિરીએ ઉપરાષ્ટ્રપતિનું પદ પહેલેથી જ છોડી દીધું હતું અને હવે જ્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે રાષ્ટ્રપતિની કાર્યવાહક ફરજોમાંથી પણ મુક્ત થઈ ગયા.
બંને જગ્યાઓ ખાલી રહી શકતી ન હતી. ત્યારે ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એમ. હિદાયતુલ્લાને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા.
આઝાદી પછી આ પ્રથમ વખત હતું, જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની જવાબદારી સંભાળવી પડી હોય.
- ડો.રાકેશ પાઠક (લેખક વરિષ્ઠ પત્રકાર છે.)
સૌજન્ય : હસ્તક્ષેપ

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...