Skip to main content

આપણા આગેવાનોની સાચી હમદર્દી


સ્વ. ગલબાભાઈ પટેલની કડક અને સ્પષ્ટ શબ્દોમાં પોતાના જ પક્ષમાં રજૂઆત
બનાસકાંઠા જિલ્લાનાં યાદગાર સંભારણાં લખવા બેસું છું અને તેમાંય ! બનાસકાંઠાના કાર્યકરો - આગેવાનોની સાચી હમદર્દી માટે વિચારું છું ત્યારે મને સૌપ્રથમ આપણા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ યાદ આવે છે.
ગુજરાતી બે ચોપડી ભણેલા ગલબાભાઈ પટેલ વડગામ તાલુકાના નળાસર ગામના વતની હતા. ખેડૂતોનાં નાનાં નાનાં ટાંપા કરતાં કરતાં એ જિલ્લાના ખેડૂત અગ્રણી બન્યા અને છેક ધારાસભ્યપદ સુધી પહોચ્યા હતા.
એમની બનાસકાંઠા જિલ્લાના લોકો પ્રત્યેની હમદર્દીના પ્રસંગની વાત કરું એ પહેલાં હું એટલું ચોક્કસ કહીશ કે એમના જેવો મરદ કાર્યકર બનાસકાંઠામાં પાક્યો નથી અને કદાચ પાકશે પણ નહિ.
આ વાત છે ૧૯૫૭-૫૮ના સમયની.
૧૯૫૭ની ચૂંટણીમાં આ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ મુંબઈ રાજ્યની ધારાસભામાં પાલનપુર વિભાગમાંથી ચૂંટાયા.તે સમયે ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી ન હતી. પણ ગુજરાત-મહારાષ્ટ્રનું સંયુક્ત એવું દ્વિભાષી મુંબઈ રાજય હતું. મુંબઈ રાજ્યના સમાજ કલ્યાણ ખાતાના નાયબ પ્રધાન શ્રી બહાદુરભાઈ પટેલ જૂન ૧૯૫૮ના પ્રથમ સપ્તાહમાં બનાસકાંઠાની મુલાકાતે આવેલા,ત્યારે રાજ કોંગ્રેસનું હતું. કોંગ્રેસ પાર્ટીની કચેરીએ પાલનપુરમાં કોગ્રેસના કાર્યકરોની મિટીંગ મળી. તેમાં મંત્રી શ્રી બહાદુરભાઈ સમક્ષ બનાસકાંઠાના પ્રશ્નોની ચર્ચા શરૂ થઈ.
ત્યારે સૌ પ્રથમ ધારાસભ્ય ગલબાભાઈએ જિલ્લાના ખેડૂતોના પ્રશ્રોની રજૂઆત અને સરકારી તંત્રની ટીકા કરતાં કહેલું કે, “રાજ્યમાં કૂવા ખોદનારાઓને સબસીડી
અને તગાવી આપવાની સરકારે જાહેરાત કર્યા મુજબ તગાવી કે સબસીડી ખેડૂતોને આપવામાં આવી નથી, અને સરકાર કહે છે કે પૈસા નથી.જયારે ખેડૂતોએ દેવાં કરી ખોદેલા કૂવા નાશ પામે છે. ફર્મા ઢંકાઈ જાય છે. કાચી નાળો ખોદી છે તેય એળે જાય છે. જે ખેતરમાંથી રસ્તા માટે જમીનો લેવાઈ છે તે જમીનોનું વળતર ઘણાઓને હજુ ચૂકવાયું નથી.”
ખેડૂતોની રાડ-ફરિયાદ મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા પછી ગલબાભાઈ પટેલે બનાસકાંઠાના બાંધકામ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર અને ખાયકી અંગે કડક શબ્દોમાં કહ્યું હતું કે, “આપ મુંબઈ - દિલ્હી રોડ (સ્ટેટ હાઈવે)નું લક્ષ્મીપુરા થી જગાણા - કાણોદર - માહી પાસેનું કામ તો જુઓ, પૈસાનું પાણી થાય છે. રસ્તા પૂરા થતાં થતાં તો તૂટી ગયા છે. આવા અખતરા કરવા માટે શું તમને અમારો જ જિલ્લો મળ્યો !"
કાણોદર ગામનો પ્રશ્ન રજૂ કરતાં તો ગલબાભાઈ વધુ કડક બન્યા. તેમણે કહેલું કે “કાણોદરમાં ઠાકરડા અને હરિજનોને વસવા જમીન નથી મળતી એ લોકો પ્રયત્નો કરી કરી ત્રાસી ગયા છે. સમજ નથી પડતી કે આવું બધું ક્યાં લગી ચાલશે ?”
સરકારી અધિકારીઓની કડક શબ્દોમાં આલોચના કરતાં ત્યારે ગલબાભાઈએ કહેલું કે, “ગઇ વખતે આપ આવેલા ત્યારે આ ઠાકરડાભાઈઓ અને હરિજનો આપની સમક્ષ ફરિયાદ કરનાર હતા પણ સરકારી બળે એવું કામ કર્યું કે,સાહેબ પાસે તમે બોલ્યા કે આઘા આવ્યા તો ડાચાં તોડી નાંખીશું. અમારે હવે શું કહેવું ?"
ગરીબો અને લોકોના પ્રશ્નો રજૂ કરતાં કરતાં ગલબાભાઈ ભરાઈ ગયા, એમનું હૈયું વલોવાઈ ગયું. લ્રોકોના સાચા હમદર્દ તરીકે બોલી ઉઠયા : “તંત્ર સડી ગયું છે,હવે અમે કંટાળ્યા છીએ. આપ કહો તો અમે રાજીનામું આપી એક બાજુ બેસી જઈએ.હવે સંભાળાતું નથી, સહન થતું નથી. લોકો અમને ગાળો બોલે છે. લોકો અમને સંભળાવે છે કે, ઝખ મારવા ચૂંટાઈને આવ્યા કે મત લેવા આવ્યા હતા."
ત્યારે ગલબાભાઈની આક્રોશભરી ભાષા અને તેમાંય ઝખ મારવા જેવા તળપદી શબ્દોએ આખા હોલમાં સન્નાટો ફેલાવી દીધેલો.
બધાની નજર મંત્રી શ્રી બહાદુરભાઈ તરફ મંડાણી હતી. ગલબાભાઈના ચહેરા ઉપર ત્યારે ગરીબો અને લોકો માટે સાચી રજૂઆત કર્યાનો આનંદ હતો.ઘડીકવારની સ્તબ્ધતા પછી બીજા કાર્યકરોએ નાના મોટા પ્રશ્રો રજૂ કર્યા.
પણ, અત્યારે સૌના મનમાં ગલબાભાઈની રજૂઆતના મંત્રીશ્રી ઉપર શું પ્રતિભાવ પડયા છે તે જાણવાની ઉત્સુકતા હતી.
ત્યા મંત્રી શ્રી બહાદુરભાઈ ટૂંકુ ઉદ્બોધન કરવા ઊભા થયા. હમણાં લાલ આંખ કરીને સરકારનો જાહેરમાં ફજેતો કરવાના બહાને ગલબાભાઈને ઠપકો આપશે, શિસ્તભંગની લગામ ઉંચકશે એવી એવી અટકળો કેટલાક કાર્યકરો કરી રહ્યા હતા,ત્યાં સરળ ભાષામાં બહાદુરભાઈ બોલ્યા “લોકોની તકલીફો માટેની તમારી સજાગતાએ મારું ધ્યાન ખેચ્યું છે. જેટલા પ્રશ્નો ઉકેલી શકાશે તેટલા આપણે સૌ સાથે મળીને ઉકેલીશું."
બનાસકાંઠાના ભવ્ય ભૂતકાળની આ એવી વાત છે કે,જયારે બનાસકાંઠાના એક ધારાસભ્ય સ્પષ્ટ અને કડક શબ્દોમાં લોકોના પ્રશ્નોની મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરતાં અચકાતો નથી. એટલું જ નહિં, ધારાસભ્યપદ મેળવ્યા પછી લોકોના હિત માટે એ પદને લાત મારવાની પણ તત્પરતા બતાવે છે ! એને કોઈ નાત જાત કે કોમમાં રસ નથી કે એ પક્ષ શિસ્તભંગનાં પગલાં ભરશે તેનાથી ડરતો નથી, કે ફરીવાર ટિકિટ નહિ મળે તેની એ ચિંતા કરતો નથી !
કારણ કે એ ગલબાભાઈ મરદ હતા. બનાસકાંઠાના સાચા હમદર્દ હતા. અને મિનિસ્ટર થવાની કે નિગમ બીજાના ચેરમેન થવાની એમને લાલસા ન હતી કે કોઈ સગા - સ્નેહીના નામે કબાડાં બીજાં કરીને માલદાર થવાની એમને ખેવના ન હતી !'
આ ગલબાભાઈ પુરેપુરા પ્રમાણિક લોકસેવક હતા. એટલું જ નહિ પોતે આંજણા - ચૌધરી પટેલ હતા. છતાં જિંદગીમાં એમણે આંજણાવાદ કે ચૌધરીવાદને ક્યારેય
પ્રોત્સાહન આપ્યું નથી, એ તો બનાસકાંઠાની બધી જ જ્ઞાતિ-કોમને સાથે રાખીને ચાલનારા ફરિસ્તા જેવા હતા.
અને એ વખતના મિનિસ્ટરો પણ કેવા સરળ કે આવી આક્રોશભરી ભાષા સાંભળ્યા છતાં, શાંતિથી સંતોષ થાય તેવા જવાબ આપતા !
આ ગલબાભાઈ પટેલની હમદર્દીની બીજી એક વાત મને યાદ આવે છે.
દુષ્કાળ પીડિતો માટે ! ગલબાભાઈ પટેલની આક્રોશભરી રજૂઆત :
ઓગસ્ટ ૧૯૬૮માં બનાસકાંઠા જિલ્લામાં ભારે દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ.એ વખતે ગલબાભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. દુષ્કાળની માહિતી મળતાં તેમણે વાવ તાલુકા તેમજ બીજા વિસ્તારનો પ્રવાસ કરી જાત માહિતી મેળવી.દુષ્કાળ પીડિતોની તક્લીફ જોઈને આ વિસ્તારમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવા એમણે સરકારમાં જોરદાર રજૂઆત કરી અને અમને પત્રકારોને મળી બધી વિગતો આપી.
શ્રી ગલબાભાઈએ સરકારમાં કરેલી રજૂઆતમાં “નિયમ પ્રમાણે દુષ્કાળ જાહેર થશે' તેવો જવાબ મળતાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગલબાભાઈ પટેલે આક્રોશ ઠાલવ્યો કે “લોકો ભૂખે મરતા હોય ત્યારે નિયમની વાત કરાય તો એવી સરકાર ભોડામાં જાય, મારે આવી સરકાર સાથે રહેવું નથી.”
અંતે શ્રી ગલબાભાઈના આક્રોશ પછી ગુજરાત સરકારે દુષ્કાળ તરત જ જાહેર કરી રાહત કામ શરૂ કરાવ્યાં.
આજે બનાસકાંઠાનો મુખ્ય ઉધોગ ગણાતી અને બનાસકાંઠા જિલ્લાનાં દોઢ લાખ કુટુંબોને રોજી આપતી બનાસ ડેરી છે તે બે ચોપડી ભણેલા આ ગલબાભાઈએ શરૂ કરેલી.
આવા સાચા હમદર્દ શ્રી ગલબાભાઈને લાખ લાખ સલામ, સાથે સાથે શ્રી બહાદુરભાઈ જેવા સરળ અને સમજુ મિનિસ્ટરને.
સૌજન્ય : જીતેન્દ્ર સી. મહેતા - 'સ્વરાજ્ય સાપ્તાહિક' (સંભારણાં પુસ્તક ભાગ - ૧ (૨૦૧૨) માંથી)

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...