Skip to main content

જનતંત્ર સમાજ : ચંદ્રકાન્ત દરુ


આજે દેશભરમાં લોકશાહી માટે હતાશાનાં વાદળ ઘેરાયેલા નજરે પડે છે.આઝાદી આવ્યા પછી આપણે લોકશાહી તંત્ર સ્વીકાર્યું ખરું પણ મોટેભાગે આપણે તેને એક રાજકીય પદ્ધતિ તરીકે બિરદાવ્યું.લોકશાહીની મૂળભૂત ફિલસૂફીની અવગણના થઈ.સંસદ,ધારાસભા,પ્રધાનમંડળો વિગેરેની રચના કરી રાજ્યકારભાર ચલાવવો એટલો જ અર્થ આપણે સમજ્યા.પરિણામ એ આવ્યું કે ધારગૃહોમાં પ્રવેશ મેળવી, તયાં બહુમતી પ્રાપ્ત કરી,સત્તા હાથ ધરી તેનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે કરવો.આ આદર્શ લોકશાહીનું મુખ્ય અંગ બની ગયો.કેન્દ્રિત સત્તા મેળવ્યા સિવાય લોકો કલ્યાણનું કાર્ય થઈ શકે જ નહિ એવો ભ્રમ ધીરે ધીરે ઘેરો બનતો ગયો. અને રાજકીય પક્ષોની રચના વગર રાજતંત્ર ચાલી શકે જ નહિ,લોકશાહી ટકી શકે જ નહિ એવી માન્યતા પ્રચલિત બની.
આને પરિણામે લોકશાહીના ખરાં અગત્યનાં પાસાં વિસારે પડ્યાં.લોકશાહીનો ખરો પાયો નૈતિક છે,રાજકીય નથી.એ પાયાની વાત ઉપર ભાર મુકાયો નહિ. લોકશાહીની સાચી સફળતાનો આધાર પ્રજા પોતે તેમાં કેટલો ભાગ લે છે અને કેટલો રસ દાખવે છે તેના ઉપર એ પણ ભુલાઈ ગયું.વળી દરેક વ્યક્તિનો મોભો તેનું સ્વતંત્ર અને તેના પ્રત્યેનો આદર આ મૂલ્યો વગર લોકશાહી નિષ્ફળ બની જાય એ સત્ય આપણે પૂરું સમજ્યા નહિ.
પરિણામ એ આવ્યું કે લોકશાહી રાજ્યતંત્રનું કેવળ એક માળખું હોય એ રીતે તેને મૂલવવામાં આવી.લોકશાહી લોકોની નહીં પણ લોકો માટેની બની ગઈ.તેથી સત્તાના રાજકારણની એ ભોગ બની,અને રાજકારણમાં નિતીને બહુ અવકાશ ન હોય એ જૂની માન્યતા વધુ ને વધુ જોર પકડવા લાગી.ગમે તે માર્ગે સત્તા મેળવવી અને તે માટે લોકશાહીનાં માળખાનો ઉપયોગ કરી લેવો એ સ્વાભાવિક ગણાવા લાગ્યું.પ્રજામત ઘડવાનું કાર્ય કરવાને બદલે ભોળી પ્રજાના મત કેવી રીતે મેળવવા એ રાજપુરુષોની ચિંતાનો મુખ્ય વિષય બન્યો.અને સાધ્ય સારું હોય તો સાધનો ગમે તેવા ચાલે એવી જૂની અનૈતિક માન્યતા યોગ્ય રાજનીતિ તરીકે ખપવા લાગી.
આનું પરિણામ શું આવ્યું? કોમવાદ કે સંપ્રદાયને દેશવટો આપવાના શપથ લેનારા રાજકારણીઓને ચૂંટણી દરમિયાન કોમવાદનો આશ્રય લેવામાં જરાય શરમ લાગી નહિ.ચૂંટણીમાં વિજયી બનવું એ જ મુખ્ય ધ્યેય હોવાથી લોકશાહીના બીજા તમામ મૂલ્યો નેવે મૂકી દેવામાં જ સાચી લોકશાહીની સાર્થકતા દેખાવા લાગી.તેથી ચૂંટણી માટે અઢળક નાણાંનો ઉપયોગ કરવામાં,એ નાણાં ગમે તે માર્ગે મેળવવામાં,જરૂર લાગે તો રાજ્યસત્તાનો દુરુપયોગ કરીને પણ વિજય હાંસલ કરવામાં જ લોકશાહીનું શ્રેય સમાયેલું છે એમ માનવા માંડ્યું અને સત્તા મેળવવા માટે જેમ આ બધું જ ક્ષમ્ય હતું એમ સત્તા ટકાવી રાખવા માટે પણ એ જરૂરી હતું અને તેથી જ પ્રજા ઉપર દારૂબંધીનો કાયદો ઠોકી બેસાડનારા રાજપુરુષો ચૂંટણીમાં દારૂની છોળો ઉછાળતાં અચકાયા નહીં.સમાજવાદી ધ્યેયને વરેલા રાજપુરુષો બિનહિસાબી કાળા નાણાં લઇ ચૂંટણીમાં તેનો ઉપયોગ કરતાં જરાય શરમાયા નહિ.મૂલ્યોની વાત સંભારી આપનારાઓ વેદિયા તરીકે ખપવા લાગ્યા.સત્તા માટેની સાઠમારીમાંથી જ સાચી લોકશાહી ખીલી શકે એવો મત રાજ્યશાસ્ત્રના નિષ્ણાતો પણ પ્રદર્શિત કરવા લાગ્યા.લોકોને આકર્ષે એવાં ખોટાં વચનો આપવામાં કુશળતા મેળવવી. લોકશાહી રાજકારણમાં પ્રવેશ મેળવવા માટેની મુખ્ય લાયકાત ગણાવા લાગી.લોકનિષ્ઠાને બદલે પક્ષનિષ્ઠા,લોક શિક્ષણને બદલે આકર્ષક પ્રચારકાર્ય,સ્વતંત્ર વિચારશક્તિને બદલે નેતાની ખુશામત કરવાની શક્તિ એ લોકશાહી માટેના આદર્શો મનાવા લાગ્યા.તે જરૂરી છે તે સારું છે,જે સફળતા અપાવે તે સત્ય છે એ રાજકારણનાં મુખ્ય સૂત્રો બની ગયાં. સત્યમેવ જયતે - એટલે કે જે વિજયી નીવડે તે જ સત્ય છે.પરાજય પામે તે અસત્ય છે એ આપણું મંગળવચન બની ગયું.
બધા જ રાજકીય પક્ષો વત્તેઓછે અંશે આવી માન્યતા ધરાવતા હોવાથી એક યા બીજો પક્ષ સત્તા ઉપર આવે તેનાથી પરિસ્થિતિમાં કશો ફેરફાર થાય એ શક્ય લાગતું નથી.
- ચંદ્રકાન્ત દરુ (સપ્ટેમ્બર ૧૯૭૪)

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...